ચોટીલા સબ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા બે સરકારી બાબુ પ્રવિણ શિવજીભાઇ સુતરસંડિયા અને અશ્વિન ગોવિંદભાઇ વરમોરાએ ડિપોઝિટરોના ખાતાની રકમ રૂ.૧.૫૭ કરોડ ઉપાડીને કૌભાંડ આચરતા સીબીઆઇમાં બંને સામે ગુનો દાખલ થયો છે. આ ચકચારી ભર્યા બનાવની વિગત એવી છે કે, ગત તા.૨૨-૬-૧૮થી તા.૧૮-૩-૧૯ દરમ્યાન પ્રવિણ સુતરસંડિયા અને અશ્વિન વરમોરાએ ભેગા મળીને પોસ્ટ વિભાગના ડિપોઝિટરોએ જુદી જુદી સ્કીમ, સેવિંગ્સ ખાતા, સેવિંગ્સ બેન્ક સ્કીમ, ડિપોઝિટ સ્કીમ અને સિનિયર સિટીઝન સ્કીમ હેઠળ ડિપોઝિટ કરેલા નાણાં અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને રકમ ઉપાડી લીધી હતી
ડિપોઝીટરોના ૬૦ હજાર, ૪૦ હજાર, ૨૦ હજાર, ૩૦ હજાર એમ મળીને કુલ ૧.૫૭ કરોડ ઉપાડી લીધા હતા. કુલ ૮૫ ખાતાઓમાંથી ૧૧૦ ટન્ઝકેશનો થયા હતા. કોમ્પીટન્ટ ઓથોરિટીએ પણ તપાસ શરૂ કરી છે. હાલ બંને સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. તા.૧૪-૮-૧૮ થી તા.૧૯-૯-૧૯ સુધી અશ્વિન વરમોરા રજા પર રહેતા તેમનો ચાર્જ કે.બી. મકવાણાને સોંપાયો હતો
તા.૯-૧-૨૦૨૦માં વાર્ષિક ઓડિટ રિપોર્ટની સાથે સબ ડિવિઝન પોસ્ટ ઓફિસમાં ઇન્સ્પેક્શન કરવામાં આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. ગેરરીતિઓ બહાર આવતા ખાતેદારોની કેટલી રકમ ઉપડી ગઇ છે તેની વિગતો બહાર આવી હતી. સુરેન્દ્રનગર ડિવિઝનના સુપ્રિટેન્ડન્ટે પાંચ પાનાની લેખિત ફરિયાદ સીબીઆઇને આપતા સીબીઆઇએ બંને સરકારી અધિકારીઓ સામે ગુનાહિત બેદરકારી અને ગુનાહિત કાવતરું કરીને સરકારી નાણાં ઉપાડીને પોસ્ટ વિભાગને નુકસાન પહોંચાડયાની ફરિયાદ થઇ છે.ચોટીલા પોસ્ટ ઓફિસના બે કર્મીઓ સામે ડિપોઝીટરોના રૂ. ૧.૫૭ કરોડ ચાઉં કરી ગયા
[News Agency]


