પાલનપુર પંથકમાં શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી જ શિવાલયોમાં દર્શનાર્થીઓની ભીડ ઉમટી
શ્રાવણ માસને લઈ દર સોમવારે બનાસકાંઠા જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠે છે. જેથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું. આજે શ્રાવણ માસના બીજા સોમવારે પણ વહેલી સવારથી જ ભોળાનાથના ભક્તો દર્શનાર્થે ઉમટી પડયા હતા.

શ્રાવણ માસમાં શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. હાલમાં કોરોનાની મહામારીને કારણે સરકારની ગાઈડલાઈન અનુસાર મંદિરોમાં દર્શન કરવા માટે સૂચના આપવામાં આવેલી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના શિવાલયોમાં આજે શ્રાવણ માસમાં આજે બીજા સોમવારે પણ ભક્તોની ભીડ જામી હતી અને તમામ શ્રધ્ધાળુઓએ સરકારી ગાઈડ લાઈન અનુસાર ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતાં. બનાસકાંઠાના યાત્રાધામ બાલારામ ખાતે આવેલા મહાદેવ મંદિર ખાતે અવિરતપણે વર્ષોથી વહેતી જલધારા અને હાથીધરા ખાતે આવેલ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર અને બાજોઠીયા મહાદેવ મંદિર ઉપરાંત પાલનપુરના પાતાળેશ્વર મહાદેવ મંદિર જેવા ઐતિહાસિક મંદિરો આવેલા છે. જ્યાં આજે શ્રાવણ માસના બીજા સોમવારે ભગવાન ભોળાનાથના ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા અને મંદિરોમાં ભક્તિસભર માહોલ સર્જાયો હતો.