મહેસાણામાં આવેલ હાઉસીંગના મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા ગુજરાત હાઉસીંગ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં મકાન માલીક બહાર ગયેલ હતા તે દરમ્યાન બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પરંતુ નગરપાલીકાની ત્વરીત કામગીરીને પગલે કોઈ પણ પ્રકારની જાનહાની ટળી હતી.
મહેસાણાના સોમનાથ રોડ ઉપર આવેલ પંડીત દિન દયાળ ઉપાધ્યાય યોજના હેઠળ બનેલ 7 માળના હાઉસીંગની બીલ્ડીગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફ્લેટ નંબર P-501માં ચીરાગભાઈ રહે છે, આ મકાન બંધ હતુ તે દરમ્યાન શોર્ટ સર્કીટને પગલે આગ લાગી હતી. પરંતુ નગરપાલીકાના હરેશ પટેલની ત્વરીત કામગીરીને પગલે આગને માત્ર 45 મીનીટમાં બુઝાવી દેવામાં આવી હતી. જેથી આસપાસના ફ્લેટમાં પણ આગ ફેલાવતા રોકી શકાઈ હતી. નગરપાલીકાના ફાયર વિભાગ દ્વારા ઝડપી કામગીરીને પગલે હાનહાની ટળી હતી. આ ઘટનાની જાણ થતાં નગરપાલીકાના વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરીયા, રીતેશભાઈ પરમાર, તથા આશિષ પટેલ સહીતના આગેવાનો સ્થળે દોડી આવ્યા હતા.
આ દુર્ઘટના બાદ ફાયર સેફ્ટિને લઈ કેટલીક ચોંકવનારી વિગતો સામે આવી હતી. જેમાં સોમનાથ રોડ ઉપર આવેલ આ હાઉસીંગ યોજનાના ફ્લેટમાં ફાયર સેફ્ટીના નોર્મ્સ ઝળવાયા નથી. જેથી આ ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી. અહીયા ફાયર સેફ્ટિની સુવીધા પણ શોભાના ગાંઠિયા સમાન હતી. ફાયરની પાઈપની જગ્યાએ વાસણો પડેલા જોવા મળ્યા હતા. આ મકાનોમાં લાગેલ ફાયર સેફ્ટિના નોઝલ પણ 2016માં એક્સપાયર થઈ ગયા હતા. જેથી મહેસાણા નગરપાલીકાએ આ મામલે ગુજરાત હાઉસીંગ બોર્ડને 2 નોટીસ પણ ફટકારી હતી. તેમ છતાં રાજ્ય સરકારના હાઉસીંગ બોર્ડ દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવ્યા નહોતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં હોસ્પિટલ સહીતની બીલ્ડીંગોમાં આગ લાગવાને પગલે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. જેમાં હોસ્પિટલો, સ્કુલ તથા રેસીડેન્સીયલ ઈમારતોમાં ફાયર સેફ્ટિની યોગ્ય સુવીધા કરવાનુ જણાવ્યુ હતુ. પરંતુ આવી ઘટનાઓ સાબિતી આપી રહ્યુ છે કે, રાજ્ય સરકારનુ હાઉસીંગ બોર્ડ જ હાઈકોર્ટની ટીપ્પણીની અવહેલના કરી ફાયર સેફ્ટિ મામલે ઉદાસીનતા દાખવી રહ્યુ છે. મહેસાણાના હાઉસીંગ ફ્લેટમાં અંદાજીત 300 જેટલા મકાનો આવેલા છે. આ ફ્લેટમાં ફાયર સેફ્ટિના નામે મીંડુ હોવાથી અનેક પરિવારો રામ ભરોષે જીવી રહ્યાનુ ખુલ્યુ હતુ.