શેરબજારમાં મંદીનો માતમ સર્જાયા બાદ આજે સતત બીજા દિવસે રિકવરીનો ટ્રેન્ડ રહ્યો હતો
નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 71 પોઈન્ટના સુધારાથી 22692 હતો તે ઉંચામાં 22799 તથા નીચામાં 22642 હતો
ગરવી તાકાત, મહેસાણા તા. 06 – લોકસભાના ચૂંટણી પરિણામોનાં તત્કાળ પ્રત્યાઘાત હેઠળ શેરબજારમાં મંદીનો માતમ સર્જાયા બાદ આજે સતત બીજા દિવસે રિકવરીનો ટ્રેન્ડ રહ્યો હતો અને સેન્સેકસ ફરી વખત 75000ની સપાટીને પાર કરી ગયો હતો. શેરબજારમાં આજે શરૂઆત પોઝીટીવ ટોને જ થઈ હતી. વિશ્વ બજારની તેજી ઉપરાંત એકલા હાથે બહુમતી ન હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ એનડીએ સરકારની શાસનધુરા સંભાળશે તે સ્પષ્ટ થતાં માનસ પોઝીટીવ રહ્યું હતું.
સંસ્થાકીય ખરીદીથી તેજીને ટેકો મળી ગયો હતો.જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે મંગળવારે મંદીનું વધુ પડતુ રીએકશન આવી ગયા બાદ વેચાણ કાપણી હતી ઉપરાંત સંખ્યાબંધ શેરો 25-25 ટકા જેટલા ઘટી ગયા હોવાના કારણોસર તેમાં નીચા ભાવે રીટેઈલ ઈન્વેસ્ટરોની લેવાલી માલુમ પડી હતી.
શેરબજારમાં આજે બેંક, પીએસયુ શેરોમાં ફરી કરંટ હતો કોલ ઈન્ડીયા, એનટીપીસી, સ્ટેટ બેંક,એનએચપીસી, ઓએનજીસી, પાવરગ્રીડ, રીલાયન્સ, સહીતનાં શેરોમાં ઉછાળો હતો. મીડકેપ-સ્મોલ કેપ શેરો ઉંચકાયા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ પ્રારંભીક કામકાજમાં ફરી 75000 ને પાર કરીને 75078 થયો હતો. નીચામાં 74526 થયો હતો અને કુલ 277 પોઈન્ટના ઉછાળાથી 74659 સાંપડયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 71 પોઈન્ટના સુધારાથી 22692 હતો તે ઉંચામાં 22799 તથા નીચામાં 22642 હતો.