ગરવી તાકાત, નડિયાદ તા. 30 – નડિયાદના બિલોદરામાં અને બગડુ ગામમાં થયેલા શંકાસ્પદ મૃત્યુ મામલે મોટા સમાચાર આવ્યા છે. ખેડામાં નડીયાદના બિલોદરા ગામે વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ પરિસ્થિતીમાં મોત થયું છે. જેમાં મૃત્યુઆંક 5 પર પહોંચ્યો છે. છેલ્લાં બે દિવસમાં બિલોદરા અને બગડુ ગામમાં 5 લોકોના શંકાસ્પદ મોત થયા છે. ત્યારે એકસાથે યુવકોના મોત બાદ SOG, LCB અને નડીયાદ ગ્રામ્ય પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ત્રણ ઈસમોની પૂછપરછ કરી રહી છે. પોલીસને શંકા છે કે, આયુર્વેદિક સીરપ પીવાના કારણે જ 5 લોકોના મૃત્યુ થયા છે. પોલીસ જેમની પૂછપરછ કરી રહી છે તેમાંથી ત્રણ ઈસમોમાંથી એક બિલોદરા ગામનો છે જેની કરિયાણાની દુકાન છે. એક વ્યક્તિ અમદાવાદનો છે જે આ સીરપ સપ્લાય કરતો હતો. અને એક વ્યક્તિ નડિયાદનો છે જે વચેટિયાઓ હોવાનું સૂત્રોથી જાણવા મળી રહ્યુ છે.
મળતી માહિતી પ્રમાણે દેવ દિવાળીના દિવસે માતાજીની માંડવીનો કાર્યક્રમ હતા. જેમાં કેટલાક લોકોએ કેફી પીણું પીધું હોવાની શક્યતા છે. આ બાદ કરિયાણાની દુકાનની પાછળ મોટી માત્રામાં સીરપની બોટલ મળી આવી હતી. જે અમદાવાદના જુહાપુરામાં બનતું હોવાની માહિતી મળી છે. મહત્વનું છે કે, બુધવારે ખેડાના નડિયાદના બિલોદરા અને બગડુ ગામમાં પાંચ લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા હતા. જ્યારે આજે સારવાર દરમિયાન વધુ એકનું મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઈ છે. તમામ લોકોના મોતના કારણ શોધવા માટે પોલીસ, SOG, LCB પ્રયાસો કરી રહી છે.
અમદાવાદના જુહાપુરામાં બનતી હતી આ સીરપ – નડિયાદના બિલોદરા ગામમાં ત્રણ લોકોના મોત થયા છે. અશોક સોઢા, અરજણ સોઢા અને નટુ સોઢા નામના યુવકોના મોત નિપજ્યા છે. ગઈકાલે મૃતકના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ યુવકોએ માતાજીની માંડવીમાં કેફી પીણું પીધું હોવાની વાત સામે આવી છે. જોકે, મોત કયા કારણોસર થયા છે તે હજી સામે આવ્યું નથી. પરંતું કરિયાણાની દુકાનની પાછળ મોટી માત્રામાં સીરપની બોટલો જોવા મળી છે. આ સીરપની કિંમત 150 રૂપિયા છે. જે અમદાવાદ જુહાપુરાની હેલ્થ કેર આયુર્વેદમાં સીરપ બનાવાયું હતું.