પાલનપુરમાંથી ફાસ્ટફૂડ જેવા કે, દાબેલી, વડાપાઉ, પફમાં ખવાતી લાલ ચટણીનો ભેળસેળયુક્ત જથ્થો સીઝ કર્યો
આજે સુરતમાંથી ભેળસેળયુક્ત મરચામાં લાલ પથ્થરના કણ મળ્યાં, હદ થાય છે ભેળસેળિયા વેપારીઓની
ભેળસેળ કરતાં વેપારીઓ સામે ગુજરાતના જિલ્લાઓનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઢિલી નિતી
ભેળસેળિયા વેપારીઓ કાયદાની છટકબારીથી છૂટી જઇ ફરીથી પોતાનો વેપાર શરુ કરી દેતાં હોય છે
ભેળસેળિયા વેપારીઓને કોર્ટમાંથી જામીન લઇ છૂટી જતાં હોવાથી કાયદાનો કોઇ ડર રહ્યો નથી
Sohan Thakor – મહેસાણા તા. 06 – સૌરાષ્ટ્ર રાજકોટ સહિત અમદાવાદમાં અગાઉ દૂધમાં યુરિયા ખાતર જેવા પ્રાણઘાતક પદાર્થો નાખી નકલી દૂધનો કારોબાર ઝડપાયાં છે તો સાથે સાથે ઘીમાં ભેળસેળ, પનીરમાં ભેળસેળ, મરચું, હળદર, જીરુ, ફાસ્ટ ફુડમાં ખાવા માટે આવતી લાલ ચટણીની પણ ભેળસેળ કરવામાં આવી રહી હોવાના અનેક કિસ્સા નોંધાયા છે.
અવાર નવાર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આ પ્રકારની ભેળસેળ પકડાતી હોવા છતાં વેપારીઓ બાજ આવતાં નથી અને કોર્ટમાંથી જામીન મેળવી છૂટ્યાં બાદ ફરીથી પોતાનો આ ભેળસેળિયો ધંધો શરુ કરી દેતાં હોય છે. આવા ભેળસેળિયા વેપારીઓ પાસે કાયદાની છટકબારી હોવાથી તેમને હવે કાયદાનો કોઇ ડર રહ્યો નથી. ત્યારે આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રીને ખાદ્ય પદાર્થોમાં કરાતી ભેળસેળ અટકાવવા મુખ્યમંત્રીએ નવા જડબેસલાક કાયદાની જરુર છે. આવા અનેક ભેળસેળિયા વેપારીઓ આસાનીથી છૂટી જતાં હોવાથી તેમને કાયદાથી ડરતાં નથી અને સરેઆમ ગુજરાતની પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે.
અત્રે નોંધનીય બાબત છે કે, નકલી દૂધ બનાવવા મામલે તેમજ દૂધમાં કેમિકલ મિશ્રણ કરવાના અમદાવાદ, સૌરાષ્ટ્ર તેમજ રાજકોટમાં અનેક ફરિયાદોના કિસ્સા ફૂડ એન્ડ વિભાગના ચોપડામાં આલેખાયેલા છે. તો વળી નકલી ઘી બનાવવાની ફરિયાદો તો બનાસકાંઠા, ડીસા, ધાનેરા, સૌરાષ્ટ્ર, અમદાવાદ, રાજકોટ સહિત જગ્યાએથી આવા નકલી ઘી બનાવતાં વેપારીઓના પર્દાફાશ કરાયા છે.
ત્યારે આટલાથી પણ આવા ભેળસેળિયા તત્વો ન અટકતાં હવે તાજેતરમાં રાજકોટમાંથી પનીરમાં પણ ભેળસેળ કરાતી હોવાનો કાંડ ખુલ્લો પડ્યો છે. જ્યારે તાજેતરમાં ઊંઝા તાલુકાના અનેક સ્થળો પરથી અનેકવાર ભેળસેળયુક્ત જીરું ઝડપી પાડવામાં આવ્યું છે. જ્યારે આજે સુરતમાંથી મરચાના પાવડરમાં પથ્થરના કણ મળવાની વધુ એક ઘટના સામે આવી છે. તો ગત રોજ પાલનપુર પંથકમાંથી ફાસ્ટ ફૂડ દાબેલી, પફ, વડાપાઉમાં નાખવામાં આવતી લાલ ચટણીમાં પણ ભેળસેળ કરાતી હોવા મામલે ચટણીના ઢગલાબંધ ખોખાનો જથ્થો સીઝ કર્યો હતો.
આમ સમગ્ર ગુજરાતભરમાં ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરી ગુજરાતની જનતાના આરોગ્ય સામે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે અને જેમની પ્રજાના આરોગ્યની જવાબદારી છે તે અધિકારીઓ ઉનાળાની ગરમીમાં ઠંડી એસીની મજા માણી રહ્યા છે અને પ્રજાને રામભરોસે છોડી મુકવામાં આવી છે.