— પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે :
— આ દરમિયાન પીએમ મોદી ગાંધીનગર, બનાસકાંઠા, જામનગર અને દાહોદમાં યોજાનાર વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે :
ગરવી તાકાત અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આગામી સપ્તાહે ગુજરાતના પ્રવાસે આવવાના છે. પીએમ નરેન્દ્ર મોદી 18થી 20 એપ્રિલ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પીએમ મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન દાહોદ, બનાસકાંઠા અને જામનગર પણ જવાના છે. મહત્વનું છે કે પીએમ નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં પણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા.
— 18 એપ્રિલથી 20 એપ્રિલ ગુજરાતમાં પીએમ મોદી :
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે અમદાવાદ આવી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 એપ્રિલે સાંજે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ તેઓ સાંજે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મહત્વના કમાન્ડ સેન્ટરની મુલાકાત લેવાના છે. 18 એપ્રિલે પીએમ મોદી રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.
— પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 19 એપ્રિલના કાર્યક્રમ :
પીએમ મોદી 19 એપ્રિલે સવારે બનાસકાંઠા જશે. બનાસકાંઠાના દિયોદરમાં પીએમ મોદી બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરવાના છે. ત્યારબાદ મહિલા પશુપાલકોના સંમેલનમાં પીએમ મોદી સંબોધન કરવાના છે. બનાસકાંઠા બાદ પીએમ મોદી જામનગર પહોંચશે. જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન પીએમ મોદી કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી, આયુષ મંત્રી પણ હાજર રહેવાના છે.
— 20 એપ્રિલે ગાંધીનગરમાં કાર્યક્રમ :
પોતાના ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે એટલે કે 20 એપ્રીલે પ્રધાનમંત્રી મોદી મહાત્મા મંદિરમાં હાજરી આપશે. અહીં આયુષ મંત્રાલયની બે દિવસીય કોન્ફરન્સનું આયોજન પીએમ મોદી કરશે. આ કાર્યક્રમ બાદ પીએમ મોદી દાહોદ જવાના છે. દાહોદમાં પીએમ મોદી આદિવાસી સંમેલનમાં સંબોધન કરશે. દાહોદથી અમદાવાદ પરત ફરી રાત્રે પીએમ મોદી દિલ્હી પરત ફરશે.