વધુ એક ડિપ્લોમેટીક સિદ્ધિ હાંસલ કરતી મોદી સરકાર કતરની જેલમાં રહેલા નૌસેનાના 7 પુર્વ જવાનો મુક્ત: સ્વદેશ પરત
આજીવન કારાવાસની સજાનો સામનો કરી રહેલા ભારતીય નૌકાદળના આઠ પુર્વ અધિકારીઓ તથા નાવિકોની કતર સરકારે સજા રદ કરી
નવી દિલ્હી તા. 12 – ભારતની એક મોટી ડિપ્લોમેટીક જીતમાં કતરમાં જાસૂસી બદલ ફાંસીની સજા અને બાદમાં આજીવન કારાવાસની સજાનો સામનો કરી રહેલા ભારતીય નૌકાદળના આઠ પુર્વ અધિકારીઓ તથા નાવિકોની કતર સરકારે સજા રદ કરીને સાતને મુક્ત કરતા આ પુર્વ નૌસેના જવાનો આજે સુખરૂપ સ્વદેશ પરત આવી જતા તેમના પરિવારો તથા દેશભરમાં એક જબરો આનંદ છવાઈ ગયો હતો. જેઓના પરત આવવા વિષે ભાગ્યે જ કોઈ આશા હતી તેમની સજા માફ કરાવવા કેન્દ્રની મોદી સરકારે તમામ ડિપ્લોમેટીક તાકાત કામે લગાડી દીધી હતી અને પહેલા ફાંસીની સજા માફ કરાવ્યા બાદ તેઓને જેલમુક્ત કરીને ભારત પરત મોકલવામાં આવે તે નિશ્ચિત કર્યુ હતું.
ખાસ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વૈશ્વિક નેતા તરીકેની ઈમેજ તથા કુવૈતના શાસકો સાથે તેમની અંગત મિત્રતા એ આ મુકતીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તો દેશના સક્ષમ વિદેશમંત્રી સાબીત થઈ રહેલા શ્રી એસ.જયશંકરે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આમ વૈશ્વિક સ્તરે ફરી એક વખત ભારતના વધતા પ્રભાવનો પણ સંકેત મળી ગયો છે. કુલ આઠ ભારતીયોને સજા થઈ હતી તેમાં સાતને પરત મોકલાય છે પણ નેવીના પુર્વ કમાન્ડર પુણેન્દુ તિવારીને હજુ મુક્ત કરાયા નથી અને તેઓને પણ ટુંક સમયમાં ભારત પરત મોકલવામાં આવે તેવી શકયતા છે.
વિદેશ મંત્રાલયે એક સતાવાર યાદીમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર કતરમાં જેલમાં રહેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરી રહેલા આઠ ભારતીયોની મુક્તિનું સ્વાગત કરે છે અને આઠમાંથી સાત સ્વદેશ પરત આવી ગયા છે. અમો આ ભારતીય નાગરિકોની મુક્તિ અને તેઓ સ્વદેશ પરત આવી શકે તે નિશ્ર્ચિત કરવા બદલ કતરના અમીરના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. આ તમામ ગત સાત ઓગષ્ટથી કરી હતી જેલમાં હતા. જો કે તેમની સામે અપરાધ શું છે અને તેમની સામેની કાનુની કાર્યવાહીની માહિતી કદી જાહેર કરવામાં આવી ન હતી
પણ માનવામાં આવે છે કે તેઓ પર ઈઝરાયેલ વતી કતરના અત્યંત મહાત્વાકાંક્ષી પ્રોજેકટ અંગે જાસૂસીના આરોપ હતા અને કતરની અદાલતે તેમાં તમામને ફાંસીની સજા કરી હતી. જો કે માહિતી જાહેર થતા જ તુર્તજ ભારત સરકાર એકશનમાં આવી હતી તથા પહેલા આ તમામની ફાંસીની સજા માફ કરાવી હતી અને બાદમાં તેઓને જેલમુક્ત કરી ભારત પરત મોકલવામાં આવે તે નિશ્ચિત કર્યુ હતું.
કયાં આઠ જવાનો જેલમાં હતા!
►કમાન્ડર પુર્ણેન્દુ તિવારી (હજુ મુક્ત થયા નથી)
►કમાન્ડર સુગુણાકર પકાલા- મુક્ત
►કમાન્ડર અમિત નાગપાલ- મુક્ત
►કમાન્ડર સંજીવ ગુપ્તા- મુક્ત
►કમાન્ડર નવતેજસિંહ ગીલ- મુક્ત
►કેપ્ટન વિરેનકુમાર વર્મા- મુક્ત
►કેપ્ટન સૌરભ વરિષ્ઠ- મુક્ત
►નાવિક: સગેથ ગોપાલકુમાર- મુક્ત
શું આરોપ મુકયા હતા!
કતરની દહરા ગ્લોબલ ટેકનોલોજીસ્ટ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસીસ માટે આ તમામ કતરના નૌસેનાના જવાનોને તાલીમ આપતા હતા અને આ કંપનીના માલીક રોયલ ઓમાન વાયુસેનાના નિવૃત સ્કવોડ્રન લીડર બામીસ-અલ-અજમી છે. જેમની પણ ગત ઓગષ્ટમાં આ ભારતીયો સાથે ધરપકડ થઈ હતી પણ બાદમાં તેઓને બે માસમાં જ મુક્ત કરાયાનો આરોપ હતો કે તેઓ કતરના એક અત્યંત ગુપ્ત સબમરીન પ્રોજેકટની ઈઝરાયેલ વતી જાસૂસી કરતા હતા પણ કદી આ પ્રકારના આરોપ જાહેર ન કરાયા અને અદાલતી કાર્યવાહી ગુપ્ત રખાઈ હતી. બાદમાં તમામ આઠ ભારતીયોને ફાંસીની સજા ફટકારાઈ પણ મોદી સરકારના પ્રયાસોથી પહેલા આ સજા રદ કરી આજીવન કારાવાસની સજા આપવામાં આવી હવે તે પણ રદ કરીને તમામને મુક્ત કરાયા હતા.
વડાપ્રધાનના કતરના અમીર સાથેના સંબંધો કામ કરી ગયા
એરપોર્ટ પર લાગ્યા ભારત માતા કી જય ના નારા: વડાપ્રધાન મોદીના કારણે મુક્ત થયા: પુર્વ જવાનો ગદગદ
વડાપ્રધાને અંગત રસ લીધો તેથી અમો આજનો દિવસ જોઈ શકાય છીએ: તમામ ભાવુક થયા
નવી દિલ્હી: કતરમાંથી પરત ફરેલા સાત પુર્વ જવાનોએ ભારતની ધરતી પર પગ મુકતા જ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા અને તેમાં મોદી સરકારના કારણે સલામત જીંદગી બચાવીને સ્વદેશ પરત આવ્યા હોવાનું ગદગદ સ્વરે જણાવ્યું હતું. એક પુર્વ જવાને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે અમો આજે અહી તમારી સામે ઉભા છીએ. ભારત સરકારે જે રીતે સતત અને સઘન પ્રયાસો કર્યા તેના પરિણામ છે.
અમો 18 માસમાંથી રાહમાં હતા. અમો વડાપ્રધાનના આભારી છીએ. જેઓએ વ્યક્તિગત રીતે અમારી મુક્તિમાં રસ લીધો હતો. નહીતર અમો આ જ દિવસ જોઈ શકયા ના હોત! સમગ્ર કાર્યવાહીમાં ભારત સરકારે આ સજા સામે અપીલ કરી હતી જે કરી હતી. અદાલતે માન્ય રાખી હતી પણ સૌથી મહત્વનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કતરના અમીર સાથે (વડા)ના અંગત સંબંધો સૌથી વધુ કામ કરી ગયા હતા.