વડાપ્રધાન મોદીએ એ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસીના ડોક્ટર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ સાથે વાતચીત કરી. આ દરમિયાન ડોક્ટર્સ સાથે વાત કરતા કરતા તેઓ ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે મહામારીમાં આપણે આપણા પોતાના લોકોને ગુમાવ્યા છે, મારી તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ. હું કાશીનો એક સેવક હોવાના નાતે દરેક કાશીવાસનો હ્રદયપૂર્વક આભાર માનવા માંગુ છું. ખાસ કરીને આપણા ડોક્ટર્સ, નર્સો, વોર્ડ બોઈઝ, અને એમ્બ્યુલન્સ ડ્રાઈવરોએ જે કામ કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યુ હતુ કે, આ અસાધારણ પરિસ્થિતિમાં પણ આપણા ડોક્ટર્સ, હેલ્થ વર્કર્સના આટલા મોટા પાયે પરિશ્રમથી જ આ દબાણને સંભાળવું શક્ય બન્યું છે. તમે બધાએ એક એક દર્દીના જીવનની રક્ષા માટે દિવસ રાત કામ કર્યું. પોતાની તકલીફ , આરામથી ઉપર ઉઠીને કામ કરતા રહ્યા. બનારસે જે સ્પીડથી આટલા સમયમાં ઓક્સિજન અને આઈસીયુ બેડ્સની સંખ્યા અનેકગણી વધારી છે, જે રીતે આટલી જલદી પંડિત રાજન મિશ્રા કોવિડ હોસ્પિટલને સક્રિય કરી છે, તે પણ પોતાનામાં જ એક ઉદાહરણ છે. તમારા તપથી, અને આપણા બધાના સંયુક્ત પ્રયત્નોથી મહામારીના આ હુમલાને આપણી ઘણી હદે સંભાળ્યો છે. પરંતુ હજુ પણ સંતોષથી કામ થયું નથી. આપણે હજુ એક લાંબી લડત લડવાની છે. હજુ આપણે બનારસ અને પૂર્વાંચલના ગ્રામીણ વિસ્તારો પર ખુબ ધ્યાન આપવાનું છે.