સ્થાનીક સ્વરાજની ચુંટણી બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનુ પ્રભુત્વ દિવસે ને દિવસે વધી રહ્યુ છે. ત્યારે આગામી વિધાનસભા ચુંટણીમાં AAP પાર્ટી ભાજપ કે કોંગ્રેસને કેટલુ નુકશાન પહોંચાડી શકે છે તે આવનારો સમય જ બતાવશે. પરંતુ રાજ્યમાં આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રીયતાને લઈ ભાજપ ચીંતામાં મુકાઈ ગયુ છે. આ પરિસ્થિતી વચ્ચે પાર્ટી અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા વિરૂદ્ધ અનેક એફઆઈઆર પણ નોંધાવવામાંં આવી છે. ત્યારે આજે પોતાના કાર્યક્રમ અંતર્ગત ગોપાલ ઈટાલીયા ઉંઝા મુકામે જઈ રહ્યા હતા તે દરમ્યાન મહેસાણા પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો – SP મહેસાણાના લોકદરબાર ઉઠ્યા સવાલ : વિપક્ષને પ્રદર્શનો કરતા અટકાવાય છે, ફરીયાદી પાસે પુરાવા માંગવામાં આવે છે !

આમ આદમી પાર્ટીનો જન સંવેદન કાર્યક્રમ ઉંઝાના ઉનાવા મુકામે હતો, આથી પાર્ટીના પદાધીકારીઓ ઉંઝા તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન મહેસાણા પોલીસે ટોલ નાકા પાસેથી કોઈ એક જુના કેસનો સંદર્ભ આપી તેમની ધરપકડ કરી દીધી હતી. તેમની ધરપકડ કરી મહેસાણા તાલુકા પોલીસ મથકે લઈ જવાયા હતા. આમ આદમી પાર્ટીના આ કાર્યક્રમના ભાગ રૂપે તેઓની ટીમ સૌપ્રથમ ઉમીયામાતાના મંદીરે દર્શન કરવા જવાના હતા, પરંતુ રસ્તા વચ્ચે જ ગોપાલની ધરપકડ કરી તેમને ઉંઝાના કાર્યક્રમમાં જતાં રોકી દેવામાં આવ્યા હતા.
આ મામલે પત્રકારમાંથી નેતા બનેલા ઈસુદાન ગઢવી જણાવ્યુ છે કે, તેઓ ઉંઝાનો કાર્યક્રમ પુરો કરી કાર્યકર્તાઓ સાથે આ રાજકીય ધરપકડ બાબતે મહેસાણા પોલીસ સ્ટેશને પહોંચશે. ભાજપ આ રીતે લોકોનો અવાજ દબાવશે તો લોકો ભાજપથી વધુ નફરત કરશે. આમ આદમી પાર્ટીનુ કહેવુ છેે કે, પાર્ટીની વધતી જતી લોકપ્રીયતાને કારણે ગુજરાત સરકાર બોખલાઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોપાલ ઈટાલીયાની ધરપકડ મામલે તેમના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તથા તેમની ધરપકડના ટાઈમીંગ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે.