— ઓછા વરસાદથી 50થી વધુ ગામોમાં પાણીની તંગીના એંધાણ
— જિલ્લાના 142 ગામોમાં 255 હેન્ડપંપ, 150 ગામોમાં 175 બોર સહિત માટે વ્યવસ્થા કરાશે : તંત્ર 5.11 કરોડનો ખર્ચ કરાશે,,
ગરવી તાકાત મોડાસા: અરવલ્લી જિલ્લામાં ગત વર્ષે સર્જાયેલી ૩૭ ટકા વરસાદની ઘટને લઈ આ વર્ષે ઉનાળો આકરો બની રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, ત્યારે જિલ્લામાં ૫૦ ટકાથી વધુ ગામોમાં પાણીની સંભવીત તંગીને પહોંચી વળવા જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂ.૫.૧૧ કરોડનો પાણીદાર અછત પ્લાન બનાવાયો છે. આ આયોજન હેઠળ જિલ્લામાં આ વર્ષે રપપ નવા હેન્ડપંપ, ૧૭૫ બોર બનાવવામાં આવશે અને ૧૨ ટીમો દ્વારા હયાત ૧૦૧૯૬ હેન્ડપંપને જરુરી સમારકામની કામગીરી હાથ ધરાઈ હોવાનું વિભાગના સૂત્રો દ્વારા જણાવાયું હતું.
હવે ચોમાસાની ઋતુના ચાર માસ બાદ જિલ્લાના નદી, નાળા અને તળાવોના તળીયા દેખાવા માંડયા છે. જળાશયોમાંથી પણ પાણીના હયાત જથ્થાનો ૪૦ ટકા જથ્થો વપરાયો છે, ત્યારે આગામી ઉનાળુ સીઝનમાં પાણીની ભારે તંગી વર્તાય એમ મનાઈ રહયું છે. અરવલ્લી જિલ્લાના ૬૭૫ ગામોમાં પાણીની જરુરીયાત ધ્યાને લઈ પાણી પુરવઠા વિભાગ દ્વારા અછત માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. અને જુદી જુદી યોજના હેઠળ રૂ.૫.૧૧કરોડની રકમનું આયોજન કરાયું છે. અરવલ્લી જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા વર્ષે ઉનાળામાં સંભવીત પાણીની તંગી વાળા ૩૪૦ ગામોમાં પાણીની જરુરીયાતને પહોંચી વળવા અછત માસ્ટર પ્લાન-૨૦૨૨ તૈયાર કરાયો છે. અને આ આયાજન હેઠળ ૧૪૫ ગવામોમાં નવીન ૨૫૫ હેન્ડપંપ માટે રૂ.૧.૯૧ કરોડ, ૧૫૦ ગામોમાં જરુરી ૧૬૫ મી.મી. વ્યાસના ૧૭૫ બોર માટે ૧.૮૫ કરોડ, વ્યકિતગત રીજુવીનેશન યોજના હેઠળ ૪૮ ગામોમાં ૩૩ લાખ રુપિયા અને હયાત ૧૦૧૯૬ હેન્ડપંપ સમારકામ માટે ૧ કરોડથી વધુ રકમ માલ સામાન અને અન્ય ઉપયોગ માટે ફાળવવામાં આવેલ છે.
જિલ્લા પાણી પુરવઠા વિભાગના ઈજનેર સોનલ વસાવા અને તાંત્રિક વિભાગના ઈજનેર મોમીના જણાવ્યા મુજબ જિલ્લાના એકપણ ગામમાં ટેન્કરથી પાણી આપવાની જરુરીયાત ન પડે તેવું આયોજન જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું છે, અને જિલ્લામાં હયાત ૧૦૧૯૬ હેન્ડપંપ પૈકી ૭૯૬૧ હેન્ડપંપ રીપેરીંગ જુદી જુદી ૧૨ ટીમો દ્વારા પૂર્ણ કરી પાણીનો પુરવઠો પુરો પડાઈ રહયો છે. જિલ્લામાં કાર્યરત એસકે-ર અને ૩ યોજના હેઠળ પણ દૈનિક ૧૩.૫૦ કરોઠ લીટર પાણીનો જથ્થો ૩૨૭ સ્વતંત્ર પુરવઠા યોજના હેઠળના ગામોની ગ્રામ પંચાયતોને અપાઈ રહ્યો હોવાનું અને ૭ જુથ પાણી પુરવઠા યોજનાઓ હેઠળ ઉનાળા દરમ્યાન પાણીની જરુરીયાતને પહોંચી વળાશે એમ આશાવાદ તંત્ર દ્વારા સેવાઈ રહ્યો છે.