કડી કલોલ દરવાજા સામે આવેલ સીવીલ કોર્ટની પાછળથી જાસલપુર ચોકડી પરથી મોટા તળાવ તરફ જતી વરસાદી પાણીની ખુલ્લી કેનાલમાં ગટરનું ગંદુ પાણી ઠલવાતું હોવાથી, આ કેનાલમાં બારેમાસ ગંદકીનું સામ્રાજય સર્જાયેલું રહે છે, સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ ખુલ્લી કેનાલમાં કેટલીકવાર ગાયો, બકરીઓ, કૂતરા તથા નાના બાળકો પડી જવાની સમસ્યા કાયમી છે. કેનાલમાં સર્જાતી ગંદકીના કારણે દુર્ગંધથી સ્થાનિક લોકો પરેશાન થતા હોય છે. તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધતા મચ્છરજન્ય રોગો ફેલાવાની દહેશત પણ રહીશોને સતાવે છે. સ્થાનિકોમા આ બાબતે રોષની લાગણી ફેલાઈ છે. સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માગ ઉઠવા પામી છે. આ બાબતે કડી નગરપાલિકાના બાંધકામ શાખાના એન્જિનિયર મહેશભાઇ પરમારને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, આ ખુલ્લી કેનાલનું ટેન્ડર બે વખત બહાર પાડવામાં આવ્યું છે પરંતુ કોઈ ભરતુ ન હોવાથી તેનું કામ અટકેલ છે.