ભારતે વિશ્વકપનો અત્યાર સુધીનો સૌથી મોટો અને વન-ડે ઈતિહાસનો ચોથા નંબરનો સૌથી મોટો વિજય મેળવ્યો હતો.
શ્રીલંકાને 302 રને કચડી નાખીને વર્લ્ડકપનાં સેમીફાઈનલમાં સ્થાન પાકુ કરનારી પ્રથમ ટીમ બની હતી.
મુંબઈ,તા.3 – વર્લ્ડકપમાં ભારતે સળંગ સાતમો વિજય હાંસલ કરીને ભારતે વિશ્વકક્ષાની અત્યાર સુધીની સૌથી મોટી જીત હાંસલ કરી હતી. શ્રીલંકાને 302 રને કચડી નાખીને વર્લ્ડકપનાં સેમીફાઈનલમાં સ્થાન પાકુ કરનારી પ્રથમ ટીમ બની હતી. ભારત તરફથી શુભમન ગીલ, વિરાટ કોહલી,તથા શ્રેયસ ઐય્યરે તોફાની બેટીંગ કર્યા બાદ બુમરાહ, મોહમ્મદ સિરાજ તથા મોહમ્મદ સામીએ બોલીંગમાં તરખાટ સર્જીને શ્રીલંકાને કચડી નાખ્યુ હતું. ભારતે વિશ્વકપનો અત્યાર સુધીનો સૌથી મોટો અને વન-ડે ઈતિહાસનો ચોથા નંબરનો સૌથી મોટો વિજય મેળવ્યો હતો. શ્રીલંકા હવે ટોપ-ફોરની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
ટોસ જીત્યા બાદ ભારતને પ્રથમ દાવમાં ઉતારનાર શ્રીલંકાએ પ્રથમ ઓવરમાં જ ભારતીય કપ્તાન રોહીત શર્માની વિકેટ ખેડવી હતી. પરંતુ ત્યારબાદ ભારતીય બેટરોએ કોઈ તક આપી ન હતી. શ્રીલંકન બોલરોની ધોલાઈ કરી હતી. શુભમન ગીલ તથા વિરાટ કોહલીએ બીજી વિકેટમાં 189 રનની ભાગીદારી નોંધાવીને શ્રીલંકન બોલીંગ એટેકને અસ્તવ્યસ્ત કરી નાખી હતી. બીજી વિકેટની આ સૌથી મોટી ભાગીદારી બની હતી.ગીલે 92 તથા કોહલીએ 88 રન બનાવ્યા બાદ શ્રેયસ ઐય્યરે સ્ફોટક રમત રમીને 56 દડામાં 3 ચોકકા તથા છ છગ્ગા સાથે 82 રન ઝુડયા હતા. અંતિમ ઓવરોમાં રવિન્દ્ર જાડેજાએ પણ 24 દડામાં 35 રન ઝૂડી નાખ્યા હતા. આ સાથે ભારતે નિર્ધારીત 50 ઓવરમાં 8 વિકેટે 357 રન ખડકયા હતા.
358 રનના જંગી ટારગેટ સાથે મેદાને પડેલા શ્રીલંકાને પ્રથમ દડામાં જ બુમરાહે ઝટકો આપ્યો હતો અને શ્રીલંકાને લેગબીફોર આઉટ કર્યો હતો અને ત્યારબાદ સિરાજે ત્રાટકીને દિમુથ તથા મેન્ડીસને તંબુ ભેગા કર્યા હતા.આ પછી પણ વિકેટ ગુમાવવાનો સીલસીલો જારી રહ્યો હતો. સિરાજે 3 ને તંબુભેગા કર્યા બાદ મોહમ્મદ સામીનો વારો આવ્યો હોય તેમ પાંચ વિકેટો ખેડવી હી. શ્રીલંકાનો દાવ માત્ર 19.4 ઓવરમાં 55 રનમાં જ પુરો થઈ ગયો હતો. અને ભારતનો 302 રનથી વિજય થયો હતો. વર્લ્ડકપનાં અત્યાર સુધીનાં તમામ સાત મેચમાં વિજય મેળવીને ભારતે 14 પોઈન્ટ હાંસલ કરી લીધા હતા અને સેમીફાઈનલમાં સ્થાન પાકુ કરનારી પ્રથમ ટીમ બની હતી.
પાંચ વિકેટ ખેરવનાર શાનદાર શામી – ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શામી માટે વર્લ્ડકપ જબરજસ્ત રહ્યો છે. ગઈકાલે શ્રીલંકા સામે પાંચ વિકેટ ઝડપીને નવા રેકોર્ડ પણ બનાવ્યા હતા. મોહમ્મદ શામી વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બન્યો છે. અત્યાર સુધીનાં 14 મેચમાં 45 વિકેટ લઈને ઝાહીરખાનનો રેકોર્ડ તોડયો હતો. ઝાહીરખાને 23 મેચમાં 44 વિકેટ લીધી હતી. 12 વર્ષ જુનો રેકોર્ડ તુટયો હતો.શ્રીનાથે પણ 34 મેચમાં 44 વિકેટ લીધી છે.
આ સિવાય શામીએ વન-ડે કેરીયરમાં 4થી વખત પાંચ વિકેટ ઝડપી હતી અને પ્રથમ ભારતીય બોલર બન્યો હતો. શ્રીનાથ તથા હરભજનસિંહે 3-3 વખત એક મેચમાં પાંચ વિકેટ ખેડવી હતી. આ ઉપરાંત વર્લ્ડકપમાં તેણે ત્રીજી વખત એક જ મેચમાં પાંચ વિકેટ લઈને મિચેલ માર્શનાં રેકોર્ડની બરોબરી કરી હતી.
કોહલી સદી ચૂકયો છતાં સચિનનો મોટો રેકોર્ડ તોડયો – મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વિરાટ કોહલી ભલે શ્રીલંકા સામે સદી ચૂકી ગયો હોય, પરંતુ તેમ છતાં તે મહાન સચિન તેંડુલકરના વર્લ્ડ રેકોર્ડને તોડવામાં સફળ રહ્યો. જો કોહલીએ સદી પૂરી કરી હોત તો તેણે સચિનના બીજા એક મોટા રેકોર્ડની પણ બરાબરી કરી લીધી હોત. જોકે, આ માટે કોહલીએ થોડી રાહ જોવી પડશે.
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કોહલીએ ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા સામેની વર્લ્ડ કપ મેચ દરમિયાન એક કેલેન્ડર વર્ષમાં 1000 રન પૂરા કર્યા છે. કોહલીએ પોતાની કારકિર્દીમાં 8મી વખત એક વર્ષમાં 1000 રન નોંધાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે તેણે ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ સચિન તેંડુલકરના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો છે. સચિન તેંડુલકરે તેની કારકિર્દીમાં 7 વખત આ સિદ્ધિ મેળવી હતી.
કેલેન્ડર વર્ષમાં 8મી વખત 1000 રન પૂરા કર્યા વિરાટ કોહલીએ આ પહેલા વર્ષ 2011, 2012, 2013, 2014, 2017, 2018 અને 2019માં 1,000થી વધુ રન નોંધાવવાની નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે 2011થી 2014 એમ સળંગ ચાર વર્ષ અને બાદમાં 2017થી 2019 એમ સળંગ ત્રણ વર્ષમાં 1000થી વધુ રન નોંધાવ્યા હતા. જ્યારે સચિન તેંડુલકરે 1994, 1996, 1997, 1998, 2000, 2003 અને 2007માં એક કેલેન્ડર વર્ષમાં 1000થી વધુ રન નોંધાવ્યા હતા. વિરાટ કોહલી શ્રીલંકા સામે 10 સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન પણ છે. વન-ડેમાં કોઈપણ ટીમ સામે કોઈપણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી આ સૌથી વધુ સદી છે.