યાત્રાધામ અંબાજીમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબિકા ભોજનાલય ખાતે જય જલિયાણ ફાઉન્ડેશન તથા દેવસ્થાન ટ્રસ્ટના સંચાલન હેઠળ માઇભકતો માટે વિનામૂલ્ય ભોજન પ્રસાદ (સદાવ્રત) શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે 2825 લોકોએ ભોજન લીધું હતું
જય જલિયાણા સદાવ્રતના શુભારંભના શુભ પ્રસંગે રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડીયાએ જણાવ્યું હતું કે, મા અંબાના દર્શનાર્થીઓ માટે નિ:શુલ્ક ભોજન પ્રસાદનું સેવાકાર્ય શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જય જલીયાણ ફાઉન્ડેશન આવા સેવાકાર્ય અવિરતપણે વર્ષો સૂધી ચાલું રાખે એવી મા અંબેને પ્રાર્થના. સાંસદે જણાવ્યું હતું કે, જલિયાણા ફાઉન્ડેશન અનેક સેવાકાર્યમાં જોડાયેલો છે અને ખૂબ સારા સેવા કાર્ય કરે છે તે જ રીતે માં અંબેના ચરણોમા રહી કાર્ય કરશે. જય જલીયાણ સેવાવ્રતના શુભારંભ પ્રસંગે કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું ૧૩ વર્ષથી સેવાકાર્યમાં જોડાયેલા જલિયાણા ફાઉન્ડેશને માઇભક્તો માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદનો (સદાવ્રત) સેવાયજ્ઞ ચાલુ કરી જલિયાણા ફાઉન્ડેશને પોતાના યશનું સેવાનું નવુ બીડું ઝડપ્યું છે અને આ ભોજન નહીં પરંતુ મા અંબેનો ભોજન પ્રસાદ છે.
આ પ્રસંગે અંબાજી મંદિરના મહારાજ ભટ્ટજી મહારાજ, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડા, જલિયાણા ફાઉન્ડેશનના પ્રમુખ હિતેશભાઈ ઠક્કર, ઉપપ્રમુખ મુકુંદભાઈ તેમજ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જલિયાણા ફાઉન્ડેશન સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.