દેશમાં રોજમદાર, શ્રમિકો, મહિલાઓ, ખેડૂતો, ખેતમજદૂરો વિધાર્થીઓ, વેપારીઓ સેવા નિવૃત લોકો, સહીત સહપરિવાર આત્મહત્યા થઈ રહી છે તે ચિંતાજનક
ગુજરાતમાં પાછળના ત્રણ વર્ષમાં 495 વિધાર્થીઓ સહીત 25,478 વ્યક્તિઓએ આત્મહત્યા કરી
ગરવી તાકાત, ગાંધીનગર તા. 06 – દેશમાં અને ગુજરાતમાં સતત વધતા યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના વેપારીઓની આત્મહત્યાની ઘટનાઓ શું આ ‘અમૃતકાળ’ છે? તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે દેશમાં રોજમદાર, શ્રમિકો, મહિલાઓ, ખેડૂતો, ખેતમજદૂરો વિધાર્થીઓ, વેપારીઓ સેવા નિવૃત લોકો, સહીત સહપરિવાર આત્મહત્યા થઈ રહી છે તે ચિંતાજનક છે.
વર્ષ ૨૦૧૭થી ૨૦૨૨ સુધી સતત છ વર્ષથી આત્મહત્યાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દેશમાં છેલ્લા ૬ વર્ષમાં ૯,૯૨,૫૩૫ લોકોએ આત્મહત્યા કરી હતી. દેશમાં સરેરાશ દરરોજ ૪૦૭ થી વધુ લોકો દેશમાં આત્મહત્યા કરી રહ્યા છે તેમજ ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર પચ્ચીસ મીનીટે એક ગૃહિણી આત્મહત્યા કરી રહી છે. આર્થિક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિક સમસ્યાઓ, પારીવારીક મુશ્કેલીઓ સહીતના કારણોસર આત્મહત્યાઓ સતત વધી રહી છે.
વર્ષ ૨૦૨૨માં ૧,૬૪૦૩૩ લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં ૧૨,૦૫૫ વેપારીઓ, ૮૧૭૬ સ્વરોજગાર કરનાર એમ કુલ ૨૦,૨૩૧ લોકોએ આત્મહત્યા કરી. દેશમાં છેલ્લા છ વર્ષ અનુસાર ૨૦૧૭માં ૧,૨૯,૮૮૭, વર્ષ ૨૦૧૮માં ૧,૩૪,૫૧૬, વર્ષ ૨૦૧૯માં ૧,૩૯, ૧૨૩, વર્ષ ૨૦૨૦માં ૧,૫૩,૦૫૨, વર્ષ ૨૦૨૧માં ૧,૬૪,૦૩૩, વર્ષ ૨૦૨૨માં ૧,૭૧,૯૨૪ લોકોએ એમ કુલ ૯,૯૨,૫૩૫ લોકોએ દેશમાં આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું હતું જે દેશ માટે અતિગંભીર બાબત છે.
ગુજરાતમાં પાછળના ત્રણ વર્ષમાં ૪૯૫ વિધાર્થીઓ સહીત ૨૫,૪૭૮ વ્યક્તિઓએ આત્મહત્યા કરી. ગુજરાતમાં ત્રણ વર્ષમાં ૬૮૭૯ વિધાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. રાજ્યમાં વિધાર્થીઓની આત્મહત્યામાંની ઘટનાઓમાં ૨૧ ટકાનો વધારો થયો છે. ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદમાં ૩૨૮૦, સુરતમાં ૨૮૬૨, રાજકોટમાં ૧૨૮૭ આત્મહત્યાઓ ચિંતાજનક છે.