કોરોનાની બીજી લહેર બાદ ચર્ચાઓ થઇ રહી હતી કે હવે કોવિડનાં કેસ વધશે નહી કારણે કે મોટા પ્રમાણમાં દેશમાં વેક્સિનેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. પરંતુ હાલમાં સ્થિતિ વિપરિત દેખાઇ રહી છે. રોજ કોરોનાનાં કેસ દોઢ લાખથી ઉપર નોંધાઇ રહ્યા છે. આજે આ આંકડો ૨ લાખ નજીક પહોંચી ગયો છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનાં ૧,૯૪,૭૨૦ નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં હાઈલી ટ્રાન્સમિસિબલ કોરોના વાયરસ વેરિઅન્ટ ઓમિક્રોનનાં કુલ કેસની સંખ્યા ૪,૮૬૮ પર પહોંચી ગયા છે. આ વાયરસને કારણે દેશમાં ૪૪૨ લોકોનાં મોત થયા છે, જેમાંથી ૨૯૬ લોકોએ એકલા કેરળમાં જીવ ગુમાવ્યો છે. દેશમાં આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને ૪,૮૪,૬૫૫ થઈ ગયો છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ વધીને ૧૧.૦૫% થયો છે. આ સાથે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧,૫૩,૮૦,૦૮,૨૦૦ કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે
છેલ્લા ૨૪ કલાકમાં ૮૫,૨૬,૨૪૦ લોકોને રસી આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ કોરોનાનાં કેસ નોંધાતા ટોચનાં ૫ રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. અહીં કોરોનાનાં ૩૪,૪૨૪ નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ દિલ્હીમાં ૨૧,૨૫૯, પશ્ચિમ બંગાળમાં ૨૧,૦૯૮, તમિલનાડુમાં ૧૫,૩૭૯ અને કર્ણાટકમાં ૧૪,૪૭૩ છે. ૫૪.૭૭% નવા કેસ આ પાંચ રાજ્યોમાંથી આવ્યા છે. કુલ નવા કેસોમાંથી ૧૭.૬૮ ટકા કેસ એકલા મહારાષ્ટ્રમાંથી આવ્યા છે
ભારતનો સક્રિય કેસલોડ હાલમાં ૯,૫૫,૩૧૯ છે, જે નવ લાખનાં આંકને વટાવી રહ્યો છે. કુલ કેસોમાં સક્રિય કેસનો હિસ્સો બે ટકાથી વધીને ૨.૬૫% થયો છે. રિકવરી રેટ હાલમાં ૯૬.૦૧% છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૦,૪૦૫ ઠીક થયા છે વળી આ સાથે આ રોગચાળામાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૩૪,૬૩૦,૫૩૬ થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, ૧૦ જાન્યુઆરી સુધીમાં કુલ ૬૯,૫૨,૭૪,૩૮૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી ગઈકાલે ૧૭,૬૧,૯૦૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું
[News Agency]