સમગ્ર ગુજરાત ઉપરાંત અન્ય રાજયોમાંથી પણ ક્ષત્રિયો ઉમટયા
19મીથી આંદોલન ‘પાર્ટ-2’ રૂપાલા ફોર્મ ભરે તો ભાજપની સંમતિ ગણાશે
આર યા પાર! અંતિમ અલ્ટીમેટમ, અન્યથા 19મીએ દેશભરનું મહાસંમેલન
ગરવી તાકાત, રાજકોટ તા.15 – રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિવાદાસ્પદ વિધાનો સાથે તેમની ટીકીટ રદ કરવાની માગણી સાથે આંદોલન કરતા ક્ષત્રિય સમાજે રાજકોટમાં યોજાયેલા મહા સંમેલનો હવે આખરી અલ્ટીમેટમ આપી દીધુ છે. રૂપાલાની ટીકીટ રદ ન થાય તો 19 મીએ અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં દેશવ્યાપી ક્ષત્રિય મહાસંમેલનો યોજાશે. 7 મે સુધી આંદોલન શરૂ રખાશે અને સર્વત્ર ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે. હવે આર યા પારની લડાઈમાં પરસોતમ રૂપાલા હાય-હાય નહીં પરંતુ રૂપાલા બાય-બાય નારા લગાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું.
પરસોતમ રૂપાલા તથા ભાજપ દ્વારા માફી સમાધાનનાં નાટકો રજુ ચાલુ હોવા પર ગર્ભિત ચીમકી ઉચ્ચારીને ક્ષત્રિય આગેવાનોએ એમ કહ્યુ કે રૂપાલાની ટીકીટ રદ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. ખુદ ભાજપનાં જ વ્યકિતને બદલે પ્રજા અને પક્ષ કરતાં દેશ મહત્વનો હોવાનું ગણાવે છે. પરંતુ આ કિસ્સામાં હાલત વિપરીત છે. એક નેતા (રૂપાલા) માટે ભાજપ સમગ્ર સમાજની માંગનો સ્વીકાર કરતો નથી. રાજકોટ લોકસભા ભાજપનાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ સાથે રવિવારે રાજકોટનાં રતનપરમાં 13 એકરની વિશાળ જગ્યામાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયુ હતું.જેમાં લાખો ક્ષત્રિયોએ રૂપાલાની ટીકીટ રદ એટલે રદ. પછી બીજી વાત. એવી રાજપુત હઠ વ્યકત કરી હતી. આ મહાસંમેલનમાં રાજયભરમાંથી લાખો ક્ષત્રિયો ઉમટયા હતા.
રતનપરનાં અસ્મિતા મહાસંમેલનમાં ભાગ લેવા ક્ષત્રિય સવારથી જ ઉમટવા લાગ્યા હતા. સાંજે સંમેલનની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. આ તકે રાજપુત સમાજનાં કોર કમીટીના પ્રવકતા કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આજે લાખોની સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિયોની હાજરીમાં હુ ભાજપનાં હાઈકમાન્ડને કહેવા માંગુ છું કે હવે પાર્ટ-1 પુરો થયો અને તમારા ખોળામાં દડો ફેંકયો છે. એટલે હવે 19 એપ્રિલ સુધીનુ અલ્ટીમેટમ આપીએ છીએ. કારણ કે જો 16 એપ્રિલે ફોર્મ ભરેલુ હોય તો 19 એપ્રિલે પાછુ ખેચી શકાય. ભાજપનું તો સુત્ર છે વ્યકિત સે દલ બડા ઔર દલ સે બડા દેશ તો રૂપાલા તમે દેશથી મોટા નથી.સમાજથી મોટા નથી. હવે પાર્ટ-2 ચાલુ થશે.પાર્ટ 2 માં શું કરવુ તે અંગે સંકલન સમિતિ નકકી કરશે.
કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ સંબોધન શરૂ કરતા પહેલા તમામ લાઈટો બંધ કરાવીને મોબાઈલ લાઈટો ચાલુ કરાવી હતી એ પછી જય રાજપુતાનાં અને જયભવાનીના નારા લગાવ્યા હતા આ સાથે રૂપાલા હાય હાય નહીં બાય બાય કહેવા આહવાન કર્યું હતું. તેમણે ક્ષત્રિયોને સંબોધન કરતા જણાવ્યું હતું કે તંત્ર સામે મારે કોઈ વેર નથી.હું પોલીસ તંત્રને કહેવા માંગુ છું કે તમે ઉંઘ બગાડતા નહિં હું સીધો મારા ગામે જઈશ.આ ભાઈ લોકો તમારા માટે કાફી છે તેમને રોકી બતાવશો તો તમન માની જઈશ.
ક્ષત્રિય અગ્રણી રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી રાજપુત સમાજ જે કંઈ અનુભવી રહ્યો હતો જેની લાગણીઓને ઠેસ પહોંચી હતી. તે બધુ ધીમે ધીમે ભેગુ થયુ અને 23 તારીખે જે કંઈ બનાવ બન્યો અને બનાવ બન્યા પછી જે કંઈ માફીના ખોટા નાટકો રજુ થયા તે હજુ ચાલૂ છે. માફી આપવાની સતા આ સમાજને છે બીજા બારોબાર ગમે તે વાતો કરે એ સમાજને કેવી રીતે મંજુર હોય ભારત દેશમાં છેલ્લા થોડા સમયથી નૈતિક અધપતન થઈ રહ્યું છે તેને અટકાવવાની જવાબદારી તો કોઈએ લેવી પડશેને!