મુખ્યમંત્રી વતીથી સામાન્ય વહીવટ વિભાગનો ઉતર આપતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું
જુન 2024 સુધીમાં 5554 જગ્યા માટે વિવિધ વિભાગોનાં માગણા પત્રકો આવી ગયા છે
બાકીની લગભગ 4000 જગ્યા માટે પણ હાલ વિવિધ સ્તરે પ્રક્રિયા થશે
ગરવી તાકાત, ગાંધીનગર તા. 09 – ગુજરાતની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર વર્ષ 2024 માં વિવિધ વિભાગોની લગભગ 10,000 થી વધુ જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરશે. તેમ મુખ્યમંત્રી વતીથી સામાન્ય વહીવટ વિભાગનો ઉતર આપતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. અહી નોંધવુ જરૂરી છે કે જુન 2024 સુધીમાં 5554 જગ્યા માટે વિવિધ વિભાગોનાં માગણા પત્રકો આવી ગયા છે.જયારે બાકીની લગભગ 4000 જગ્યા માટે પણ હાલ વિવિધ સ્તરે પ્રક્રિયા થશે.

વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમ્યાન ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2024 માં કેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે તેવા ભાજપનાં ધારાસભ્ય રીટાબેન પટેલના પુરક પ્રશ્નના જવાબમાં મંત્રી પટેલે જણાવ્યું હતું કે 2024 દરમ્યાન 10,000 થી વધુ જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ માટે સરકારે હવે ઉમેદવારોની પસંદગી અને તેની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કર્યા છે. અગાઉ ધો.12 પાસ ઉમેદવારોની અરજીઓ મગાવાતી હતી. એમાં ફેરફાર કરીને ગ્રેજયુએટ ઉમેદવારોની અરજી મંગાવાશે અને એમાં ગ્રુપ-1 અને ગ્રુપ-2 એમ ભાગ કરાયા છે.સામાન્ય જ્ઞાન અને ટેકનીકલ જ્ઞાન એવી રીતે ત્રણ પેપર લેવામાં આવશે.
અગાઉ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ ઉપસ્થિત કરેલા પ્રશ્નોનાં ઉતરમાં પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારનાં 22 વિભાગોની લગભગ 3000 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. એમાં 2022 માં 1680 જગ્યા માટે નિમણુંક પત્રો આપવાની પ્રક્રિયા લગભગ પુરી થઈ ગઈ છે.
જેમાં 2022 માં 12 વિભાગોની 1680 જગ્યા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રક્રિયા થઈ હતી. અને એમાં નિમણુંક પત્રો મોટાભાગના ઉમેદવારોની અપાઈ ગયા છે.એમાં વન વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, નર્મદા જળસંપતી, શહેરી વિકાસ માર્ગ અને મકાન, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અલગ અલગ જગ્યા માટે ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લઈ ઉમેદવારોની પસંદગી કરી હતી.
આજ રીતે જાન્યુઆરીથી ડીસેમ્બર 2023 દરમ્યાન 1246 જગ્યા માટે ઉમેદવારો પસંદ કરવા મંડળ દ્વારા પરીક્ષા લેવાઈ હતી. આ પૈકી ડીસેમ્બર 2023 ની સ્થિતિએ 77 ઉમેદવારો માટે સંબંધીત વિભાગોને ભલામણ કરાઈ છે.
નર્સીંગ ટયુટરની સીધી ભરતી માટેનો મામલો હાઈકોર્ટમાં ન્યાયાધીન છે એ સિવાયની તમામ જગ્યા પર નિમણુંક પ્રક્રિયા લગભગ પુરી થવામા છે. તેમ પટેલે ઉમેર્યું હતું મોઢવાડીયાએ સરકારને અભિનંદન આપ્યા હતા કે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તરીકે હવે એક પ્રમાણીક નિવૃત અધિકારીની નિમણુંક કરી છે તેના ઉતરમા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે સરકારે તમામ ચેરમેન પ્રમાણીક જ નિમ્યા છે.


