નવા નિયમ એટલા બધો કડક છેકે, હવેથી પ્રોપર્ટીના ખરીદ-વેચાણમાં ભારે હાલાકીનો સામનો કરવો પડશે
ખોટી વિગતો આપનાર અને ખોટી બાંયધરી આપનાર સામે થશે પોલીસકેસ
સબરજિસ્ટ્રાર સમક્ષ ખોટા નિવેદનો કરવા 7 વર્ષની જેલની સજાને તથા દંડને પાત્ર
હવે ફરજિયાત ભરવું પડશે ફોર્મ, ફરજિયાત આપવી પડશે તમામ વિગતો
ગરવી તાકાત, ગાંધીનગર તા. 05 – જો તમે પણ કોઈ નવી મિલકત ખરીદવા માંગતા હોવ અથવા પોતાની કોઈ પ્રોપર્ટીનું વેચાણ કરવા માંગતા હોવ તો દસ્તાવેજના બદલાયેલાં નિયમો જાણી લેજો. લોકસભાની ચૂંટણી પહેલાં જ બદલાઈ ગયા છે દસ્તાવેજના નિયમો. નિયમોમાં કરી દેવામાં આવ્યો છે મોટો ફેરફાર. હવે પહેલાં જેવી કોઈપણ પ્રકારની છટકબારી નહીં મળે. એટલું જ નહીં આ નવો નિયમ એટલો બધો કડક છેકે, હવેથી પ્રોપર્ટીના ખરીદ-વેચાણમાં ભારે હાલાકીનો સામનો કરવો પડશે.
નવા ફોર્મ 32-એના મુદ્દા નંબર, 6, 7 અને 8માં જણાવેલી વિગતો મુજબ યોગ્ય સ્ટેમ્પડયૂટી નક્કી કરવાની આવે છે. તેમ જ દસ્તાવેજમાં આપેલી માહિતી ખરી-સાચી હોવાની ખાતરી દસ્તાવેજ કરી આપનાર આપે છે. તેમ જ ખોટી માહિતી આપી હશે તો તેમની સામે કાયદેસર દંડની અને ફોજદારી કાર્યવાહી કરવાની બાંયધરી પણ આપે જ છે. આ હકીક્તને સમજી-વિચારીને સહી કરતાં હોવાનું પણ કબૂલે છે. તેમાં ગડબડ કરનારા માંડ બે ટકા લોકો હોય છે. તેને માટે 98 ટકાની તકલીપ વધારવી ઉચિત નથી.
સબરજિસ્ટ્રાર સમક્ષ ખોટા નિવેદનો કરવા એ 7 વર્ષની જેલની સજાને તથા દંડને પાત્ર હોવાની હકીકતથી પોતે વાકેફ હોવાનું પણ સ્વીકારે છે. તેમાં ડિપાર્ટમેન્ટ સુધારો કે વધારો કરે તો તે પણ ભરી જ દે છે. આ સ્થિતિમાં યોગ્ય સ્ટેમ્પ ડ્યૂટી જ વપરાય છે. ગુજરાત સ્ટેમ્પ એક્ટની કલમ 28માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ યોગ્ય સ્ટેમ્પડયુટી જ વાપરવામાં આવે છે. સ્ટેમ્પ એક્ટની કલમ (ઝ)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ વાપરવામાં આવેલી સ્ટેમ્પડયુટી જ યોગ્ય હોવાનું દર્શાવે છે. આ સંજોગોમાં ફોર્મ 32-એમાં તમામ વિગતો નવેસરથી માગવી કોઈ બિનજરૂરી અને તકલીફ વધારનારી છે.
મિલકતની ખરીદવેચાણ કરનારાઓએ હવે દસ્તાવેજની નોંધણી સાથે નવું ફોર્મ 32-એ ભરીને દસ્તાવેજમાં પહેલા, બીજા ફકરા સહિત ત્રણથી ચાર જગ્યાએ આપવામાં આવેલી માહિતી ફરીથી એકવાર ફોર્મમાં અલગથી ભરીને આપવાની ફરજ પાડવામાં આવી રહી છે. પહેલી એપ્રિલ 2024થી આ નવું ફોર્મ અમલમાં મૂકી દેવામાં આવ્યું છે. નવા ફોર્મમાં માગેલી માહિતી આપવાની જરૂર જણાતી જ નથી. છતાં તે ભરવાની જોગવાઈ લાવીને મિલકતની ખરીદ-વેચાણ કરનારાઓની હલકી વધારવામાં આવી રહી છે.
મિલકતની ખરીદ-વેચાણ કરનારની હાલાકી વધશે, દસ્તાવેજ નોંધણી માટે નવું ફોર્મ 32-એ ભરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં આ ફોર્મમાં દસ્તાવેજની તમામ વિગતો આપવી પણ ફરજિયાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના દસ્તાવેજની નોંધણી માટેના ધારાની જોગવાઈ હેઠળ દસ્તાવેજ કરાવનારા દસ્તાવેજનો પ્રકાર, મિલકતની કિંમત, ઈ-ચલણની વિગતો અને મિલકતનું વર્ણન આપવું ફરજિયાત છે. પરિણામે મિલકતના દરેક દસ્તાવેજના પહેલા પાના પર, બીજા પેરેગ્રાફમાં, ઈ-ચલણમાં, વેચાણ દસ્તાવેજના પરિશિષ્ટમાં તથા વેચાણ દસ્તાવેજ સાથે રજૂ કરવામાં આવતા ઇનપુટ ફોર્મમાં આપવામાં આવેલી જ હોય છે.
પાવર ઓફ એટર્ની હશે તો જ થઈ શકશે પ્રોપર્ટીનું વેચાણ – પરિણામે પરદેશમાં રહેતી કોઈ વ્યક્તિની મિલકતના વેચાણ માટે પાવર ઓફ એટર્ની મંગાવવામાં આવે અને નોટરીની હાજરીમાં સહી કરીને પાવર ઓફ એટર્ની કે દસ્તાવેજ પરત આવે ત્યાર પછી ફોર્મ 32-એ ભરી શકાય છે. તેના પરની રજિસ્ટ્રેશન ફી પણ ભરી શકાય છે. આમ રજિસ્ટ્રેશન ફી ભરે તે પછી જ ફોર્મ 32-એ બહાર નીકળે છે. દસ્તાવેજ સાથે જોડેલા પેપર્સ કેટલા છે તે દસ્તાવેજ રજૂ કરે તે પછી જ તેના પર રજિસ્ટ્રેશન ફી કેટલી લાગે છે તે નક્કી કરવામાં આવે છે. આ સ્થિતિમાં વિદેશથી પાવર ઓફ એટર્ની આવે તે તબક્કે ખબર જ પડતી નથી કે રજિસ્ટ્રેશન માટે કેટલા પાનાં રજૂ કરવાના આવશે.|
પહેલાં શું હતો નિયમ? – પહેલા ફોર્મ 32-એમાં માત્ર વેચાણ આપનાર અને વેચાણ લેનારના ફોટા, અંગૂઠા અને સહી જ લેવામાં આવતી હતી. 31મી માર્ચ 2024 સુધી અમલમમાં ચાલુ રહેલી આ જોગવાઈને પહેલી એપ્રિલ 2024થી બદલી નાખવામાં આવી છે. પહેલી એપ્રિલથી તેમાં દસ્તાવેજનો પ્રકાર, અવેજ (મિલકતના વેચાણ સામે મળનારું મૂલ્ય), બજાર કિંમત, મિલકતનું વર્ણન, મિલકતની ચતુર્દિશા સહિતની વિગતો ફરીથી માગવાનું ચાલુ કરવામાં આવ્યું છે. દસ્તાવેજમાં મિલકતની ચતુર્દિશા લખવામાં ન આવે ત્યાં સુધી સર્વર ફોર્મને આગળ જ વધારતું નથી.