લગ્ન પ્રસંગથી પરત ફરતા પરિવારને અકસ્માત નડતા ૪ લોકોના મોત થયા
પાલનપુરના રતનપુર પાસે લગ્ન પ્રસંગથી પરત ફરતા પરિવારને અકસ્માત નડતા ૪ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા તેમણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવની જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મહેસાણાના સતલાસણાના નાની ભાલુનો પરિવાર દાંતીવાડામાં એક લગ્ન સમારંભમાં ગયો હતો.

લગ્ન સમારંભ પૂર્ણ કરીને આ પરિવાર ઇકો કારમાં નીકળ્યો હતો ત્યારે રતનપુર પાસે ટ્રક સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ જ્યારે અન્ય સાતને સારવાર માટે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઘાયલ સાતમાંથી ત્રણ લોકોનું પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં મોત થયુ હતું. આ રીતે ચાર લોકોના આ અકસ્માતમાં મોત થયા હતા. મૃતકોને પીએમ માટે ખસેડીને પાલનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઇકો અને ટ્રક વચ્ચેનો આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.