બહેરીન, યુએઈ અને સિયાચેલ, આ ત્રણ રાષ્ટ્રોના પ્રવાસના પ્રથમ તબક્કે ભારતના વિદેશી બાબતોના મંત્રી ડૉ.એસ.જયશંકરે 25 નવે.ના રોજ બહેરીનની રાજધાની મનામા સ્થિત 200 વર્ષ જૂના શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધી. આ મંદિરની મુલાકાત દરમિયાન ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, ‘આ મંદિર બહેરીન સાથેના આપણા સુદ્રઢ અને નિકટના સંબંધોની સાક્ષી પૂરે છે.’ ઉલ્લેખનીય છે કે, ભારતના વિદેશમંત્રી તરીકે ડૉ.એસ.જયશંકરના બહેરીનના આ પ્રથમ પ્રવાસના થોડા સમય પહેલાં જ, એટલે કે 11 નવે.ના રોજ બહેરીનના વડાપ્રધાન, હિઝ હાઇનેસ પ્રિન્સ ખલિફા બિન સલમાન અલ ખલિફાનું દુઃખદ અવસાન થયું હતું.
આ પણ વાંચો – કુષી બીલના વિરોધમાં દિલ્લી જઈ રહેલા ખેડુતો પર લાઠીઓ, ટીયર ગેસ, પાણીનો મારો
પોતાના આ બહેરીન પ્રવાસ દરમિયાન, વિદેશમંત્રી બહેરીનના પોતાના સમકક્ષ તેમજ અન્ય ટોચના નેતાઓને મળશે અને તેમની સાથે બંને રાષ્ટ્રો વચ્ચેના દ્વિપક્ષીય મુદ્દાઓ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાતચીત કરશે. બહેરીનમાં 3.50 લાખ કરતા વધુ ભારતીયો વસે છે, અને કોવિડ-૧૯ મહામારીનો સામનો કરવા માટે બંને દેશોએ સાથે મળીને કામ કર્યું છે. બહેરીન એ દેશોમાંનો એક છે, જેમની સાથે ભારતે એર બબલ એગ્રીમેન્ટ કર્યું છે, જે સુનિશ્ચિત કરે છે કે બંને દેશો વચ્ચે આવાગમન માટે ફ્લાઈટ્સ કાર્યરત રહેશે.
ઓગસ્ટ,2019 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ વખત બહેરીનની મુલાકાત કરી હતી, આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન વડાપ્રધાને પણ મનામામાં શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધી હતી.2019 માં પોતાના બહેરીનના બે દિવસીય પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ 200 વર્ષ જૂનાં ભગવાન શ્રીકૃષ્ણ મંદિરના જીર્ણોદ્ધારનો 4.2 મિલિયન યુએસ ડોલરનો પ્રોજેક્ટ પણ લોન્ચ કર્યો હતો.