આજે જુનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાના પુરગ્રસ્ત વેકરી, મરમઠ, દેશીંગા અને ચીખલોદરા ગામની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત લઈ ગ્રામજનો સાથે નુકશાન અને સહાય અંગે ચર્ચા કરી. ઘેડ વિસ્તારના મુખ સમાન ભીંડોર, ગણા, વડા, વેકરી, સરાડીયા, મરમઠ, દેશીંગા અને ચિખલોદરા ગામો ઘેડના મુખમાં આવેલ હોવા છતાં તેમનો ‘ઘેડ વિકાસ યોજના’માં સમાવેશ કરવામાં આવેલ નથી. દર વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદ થતા જ સમગ્ર ઘેડ વિસ્તાર સહિત આ ગામોમાં જળબંબાકાર થઈ જાય છે અને જરૂરીયાત હોય ત્યારે પીવાનું પાણી પણ ના મળે.

આ પણ વાંચો – દિલ્હી ખાતે કેન્દ્રની બેઠકમાં ભાજપના ગિરીશ રાજગોરે મહેસાણા રેલવે સ્ટેશન પર પેસેન્જરોની સમસ્યાના પ્રશ્નોની રજૂઆત કરી !
અત્યારે ભારે વરસાદથી ખેડૂતોનો મગફળી, સોંયાબીન, જુવાર, કપાસ સહિતના પાકનો નાશ થયો છે. ખેતરો ધોવાઈ ગયા છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ઘર વખરીને નુકશાન થયુ છે. ત્યારે સરકારે તાકીદે સર્વે કરીને 15 દિવસ સુધી 300 રૂપિયા પ્રતિ દિવસ નો કેશ ડોલ્સ, પાક અને ખેતર નુકશાનની સહાય આપવી જોઈએ. રસ્તાઓ તાકીદે રીપેર કરવા જોઈએ. ઉપરાંત નદીકાંઠે લોકોની માંગણી મુજબ પુર સંરક્ષણ દીવાલ (પાળ) બાંધી આપવી જોઈએ તેમ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું

પુરગ્રસ્ત ગામોની મુલાકાત દરમિયાન જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય અને માણવદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવીંદભાઇ લાડાણી, જીલ્લા નિરીક્ષક હરિભાઈ પટેલ, માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ ઝાટકીયા, કોંગ્રેસ અગ્રણી જીગ્નેશભાઈ છૈયા, માણાવદર તાલુકા પંચાયતના સદસ્ય ધર્મેશભાઈ બોરખતરીયા, માણાવદર તાલુકા પંચાયતના સદસ્ય રામભાઈ બારીયા, કુતિયાણા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરજનભાઈ સોલંકી, પોરબંદર જીલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતા ઠેબાભાઈ ચૌહાણ, રામાભાઈ મારુ, ભરતભાઈ ડાંગર, સહિતના આગેવાનો સાથે જોડાયા હતા.