— તપાસ દરમિયાન હજુ ચોકાવનારી વિગતો બહાર આવશે : ડિરેકટરની પેઢીમાં જ ગોલમાલ
— સેસ ચોરી મામલે ગંભીર નોંધ લઈ નાયબ નિયામકે રિપોર્ટ સાથે ખુલાસો માગ્યો : સત્તાધિશોને નોટિસ આપતા સહકારી રાજકારણમાં ગરમાવો
ગરવી તાકાત મોડાસા : મોડાસા માર્કેટયાર્ડમાં કેટલાક વેપારીઓ દ્વારા હરાજીમાં ખરીદાયેલા માલની ખરીદીના બીલો વાસ્તવિક કરતાં ઓછા બનાવી આચરવામાં આવેલ શેષ ચોરી કૌભાંડને લઈ જિલ્લાભરમાં ચકચાર મચી હતી. અને આ પ્રકરણે તપાસ સોંપાઈ હતી. પરંતુ ચકચારી આ ઘટનામાં કેટલાક વેપારીઓ દ્વારા યાર્ડના હિતને જ નુકશાન કરવાને લઈ જિલ્લાના રજીસ્ટાર અને નાયબ નિયામકે આ ચોરી પ્રકરણને ગંભીરતાથી લઈ મોડાસા માર્કેટયાર્ડના વહીવટકર્તાઓને નોટીસ ફટકારી હતી. અને આ પ્રકરણે યોગ્ય ખુલાસો મંગાયો હતો.
અરવલ્લી જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મોડાસાના કેટલાક વેપારીઓ દ્વારા માર્કેટ શેષ ચોરીનું કૌભાંડ આચરવામાં આવતું હોવાની હકીક્તનો પદાર્ફાશ થયો હતો. ખેડૂતો પાસેથી વેપારીઓની એવી ચિઠ્ઠીઓ મેળવાઈ હતી કે જેનું વાસ્તવિક બીલ વેપારી દ્વારા યાર્ડમાં ઓછી રકમનું રજૂ કરાયું હતું.
અને આમ લાખ્ખો રૃપિયાના ચોરીના માર્કેટ શેષ કૌભાંડે ચકચાર મચાવી હતી. ખેડૂત એકતા મંચ દ્વારા રજૂ કરાયેલા આધાર પુરાવા બાદ યાર્ડ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં અન્ય આવા કિસ્સા પણ જણાઈ આવતાં છેવટે મોડાસા માર્કેટયાર્ડના સત્તાધીશોએ આ પ્રકરણે તપાસ કરાવવાનો નિર્ણય કરાયો હતો. મોડાસા માર્કેટયાર્ડના શેષ ચોરી કૌભાંડની ગંભીરતા ધ્યાને લઈ અરવલ્લી જિલ્લા રજીસ્ટ્રાર અને નાયબ નિયામક દ્વારા મોડાસા માર્કેટયાર્ડને નોટીસ ફટકરાઈ હતી અને યાર્ડમાં ખેડૂતોની જણસની ખરીદીમાં માર્કેટ શેષ ચોરી કરી મોટું કૌભાંડ કર્યાની ખેડૂતોમાં બૂમ ઉઠી છે. તે બાબતે શું હકીક્ત છે ? જેનો હકીક્તલક્ષી અહેવાલ દિન-૧માં આપવા આ નોટીસ અપાઈ હોવાનું જણાવાયું હતું.
— સેસ ચોરીના ૧૪ કિસ્સામાં અંદાજે ૧૮ ટકા ચોરી બહાર આવી
મોડાસા માર્કેટયાર્ડ દ્વારા અરવલ્લી જિલ્લા રજીસ્ટ્રાર અને નાયબ નિયામકને કરાયેલ લેખિત ખુલાસામાં માર્કેટશેષ ચોરીના ૫ કિસ્સામાં કુલ ૨,૬૦,૦૮૦ ની ખરીદી સામે વે૫ારીઓ દ્વારા માર્કેટયાર્ડમાં રૃ.૪૭૪૩૭ના બીલ ખરીદી પેટે જમા કરાવ્યા હતા.આમ આશરે ૧૮% શેષચોરી આ પાંચ કિસ્સામાં,જયારે જીતપુરના ૨ ખેડૂતોની અને યાર્ડના સ્ટાફની ઓળખાણમાં રહેલા અન્ય ૭ થી ૮ કિસ્સાની ખરીદીમાં પણ આવી શેષ ચોરી જણાઈ આવી હોવાનું જણાવાયું હતું.આમ ૧૪ કિસ્સા તો આ કૌભાંડના પર્દાફાશ વખતે જ જણાઈ આવ્યું છે. ત્યારે પાછલા ૫ વર્ષના બીલોની વેપારીઓ દ્વારા ખેડૂતોને ચેકથી ચૂકવાયેલ રકમ ચકાસવામાં આવશે તો આ કૌભાંડ કરોડો એ પહોંચશે.
— યાર્ડના ડિરેકટરની વેપારી પેઢીમાં જ ઓછા બીલો બનાવાયાનું ખુલ્યું
મોડાસા માર્કેટયાર્ડ દ્વારા જિલ્લા રજિસ્ટારને કરાયેલ નોટીસના લેખિત ખુલાસામાં યાર્ડના વેપારી સદસ્ય અને રૃષભ એન્ટર પ્રાઈઝના પ્રોપરાઈટર મુકેશભાઈ શાહ ના ખરીદ-બીલની પ્રાથમિક ચકાસણી કરતાં તેમની હરાજીમાં ખરીદેલ માલની ખરીદીના બીલો વાસ્તવિક કરતા ઓછા બનાવયેલ હોવાનું ધ્યાન ઉપર આવ્યું હોવાનું જણાવાયું હતું.અને માર્ચ એન્ડીંગ સામે આવતાં દર વર્ષે આ પ્રકારની પ્રાથમિક તપાસણી બજાર સમિતિના કર્મચારીઓ દ્વારા રૃટીંગ કવાયતના ભાગરૃપે બજાર સમિતિ દ્વારા કરાતી હોવાનું જણાવાયું હતું.