દિલ્હી અને હૈદરાબાદ સહિતની CRPF શાળાઓમાં બોમ્બ હોવાની ધમકી મળતા વિદ્યાર્થીઓને સલામત કરાયા: તમામ સ્થળો પર બોમ્બ વિરોધી સ્કવોડ દ્વારા તપાસ
નવી દિલ્હી તા. 22 – દેશમાં હવાઇ સેવા સહિતના સ્થળોએ બોમ્બની ધમકીનો સીલસીલો ચાલુ રહ્યો છે અને ગત સપ્તાહએ જ દિલ્હીમાં જે સીઆરપીએફ સ્કૂલ પાસે ઓછો શક્તિશાળી વિસ્ફોટ થયો હતો તે અને સીઆરપીએફની અન્ય સંખ્યાબંધ શાળાઓમાં બોમ્બ હોવાની ધમકી ઇ-મેઇલથી મળતા તૂર્ત જ અહીં શાળાઓ ખાલી કરાવાઇ હતી અને બોમ્બ શોધક ટુકડીઓ પહોંચી ગઇ હતી.
આ અંગે મળતી પ્રાથમિક વિગત મુજબ ગઇકાલે મોડી રાત્રે શાળાઓના મળેલા ઇ-મેઇલમાં ધમકી આપવામાં આવી હતી જેમાં દિલ્હી અને હૈદ્રાબાદની શાળાઓને મળેલા ઇ-મેઇલ જાહેર થયા છે અને અન્ય સીઆરપીએફ શાળાઓને આ પ્રકારની ધમકી મળ્યાના અહેવાલ છે. દિલ્હી સહિતની પોલીસ તેમાં હવે તપાસ કરી રહી છે. તો બીજી તરફ આજે વધુ 30 ફ્લાઇટને બોમ્બ હોવાની ધમકી મળી હતી. જેમાં અમદાવાદ, જેદ્દા ફ્લાઇટનો પણ સમાવેશ થાય છે.
દેશમાં વિમાની સેવા સામે સતત ધમકીભર્યા મળી રહેલા કોલમાં આજે પણ વધુ 30 ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ અફડા તફડી સર્જાઇ ગઇ હતી. ઇન્ડીગો, વિસ્તારા અને એર ઇન્ડિયાની અલગ-અલગ ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી. સોમવાર રાત્રિથી જ આ ધમકીભર્યા ફોન મળવાનું ચાલુ થયું હતું અને તેમાં બેંગ્લુરુથી મુંબઇ, અમદાવાદથી જેદ્દા, હૈદરાબાદથી જેદ્દા અને લખનૌથી પુના જતી ઇન્ડીગોની ફ્લાઇટમાં ધમકીભર્યા ફોન મળ્યા હતા અને તેમાં ફ્લાઇટને તૂર્ત જ અલગ-અલગ એરપોર્ટ પર સલામત કરવામાં આવી હતી.
તો બીજી તરફ એર ઇન્ડિયાની ફ્લાઇટને પણ આ પ્રકારે ધમકીભર્યા ફોન મળ્યાનું બહાર આવ્યું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું કે આ પ્રકારની તમામ ધમકીઓ પોકળ પુરવાર થઇ છે પરંતુ આપણે તેને ગંભીરતાથી લેવી જરુરી છે. મુસાફરોના જીવન સાથે કોઇપણ જાતની ઢીલાશ ચલાવી લેવાશે નહીં. છેલ્લા ત્રણ દિવસમાં 120 જેટલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી અને તેમાં વિમાની સેવાને ભારે અસર થઇ છે.