ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં લમ્પી કેસ વધતા સંક્રમણને લઇ પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. મંગળવારે વધુ 403 કેસ સામે આવ્યા. તો 480 પશુ સાજા થયાં. 16 પશુનાં મોત થયાં. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઇન્દ્રજીતસિંહ વાળાએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં રાજ્ય, જિલ્લા, તાલુકા કે 1 ગામથી બીજા ગામમાં પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ તેમજ પશુમેળા, વેપાર, પ્રદર્શન અને 1 સ્થળે એકઠાં કરવા, રોગચાળામાં મૃત્યુ પામેલા પશુઓની હેરફેર અને ખુલ્લામાં છોડવા પર પ્રતિબંધ લદાયો.
પશુની હેરફેર કરવી જ પડે તો 14 દિવસ સુધી અન્ય પશુઓથી હેરફેર કરાયેલા પશુ દૂર રાખવા પશુપાલકોને જણાવવામાં આવ્યું. આ જાહેરનામાનું પાલન 4 ઓક્ટોબર સુધી કરવાનું રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ સાથે તમામ વહિવટી તંત્રને જાણ કરાઇ. જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. વી.એન. મકવાણાના જણાવ્યા મુજબ, 2,72,761 પશુઓને લમ્પી વાયરસનો એન્ટીડોઝ અપાઈ ચુક્યો છે. અત્યાર સુધીમાં લમ્પીના કુલ 4319 કેસ નોંધાયા છે. જે પૈકી 1790 પશુ સ્વસ્થ થયા છે. જ્યારે 149 પશુઓનાં મોત થયાં છે. હાલ લમ્પીગ્રસ્ત 2440 પશુઓ સારવાર હેઠળ છે.