ગુજરાત પોલીસે એક પત્ર દ્વારા રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને જાણ કરી છે કે, ઝોલાછાપ ડોક્ટરોને ઝડપી પાડવાની કાર્યવાહીમાં આયુર્વેદીક ડોક્ટરોને હેરાન-પરેશાન કરવામાં ના આવે તથા એલોપેથીના ડોક્ટરો વિરૂધ્ધ ખોટા કેસ દાખલ કરવામાં ના આવે.
કોરોનાકાળમાં અનેક ઝોલાછાપ ડોક્ટરો કોઈ માન્યતાપ્રાપ્ત ડીગ્રી વગર તબીબીનુ કામ કરતા હોવાનુ સામે આવ્યુ છે. જેથી આવા ઝોલાછાપ ડોક્ટરોને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેથી આવા લોકો આમ જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા ના કરી શકે. આ કાર્યવાહી અંતર્ગત ગુજરાતમાં અનેક વિસ્તારોમાંથી પોલીસ દ્વારા નકલી તબીબોને ત્યાં રેઈડ તેઓની પાસેથી તબીબીના સાધનો,દવાઓ પણ ઝપ્ત કરવામાં આવી છે. દરમ્યાન એલોપેથી અને આયુર્વેદ એક બીજાની સામ સામે આવી ગયા છે. ઝોલાછાપ ડોક્ટરો વિરૂધ્ધની કાર્યવાહી દરમ્યાન ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સીસ્ટમ્સ ઓફ મેડીસીન દ્વારા ગુજરાત પોલીસને પત્ર લખી જાણ કરાઈ હતી. કે તેમની આ કાર્યવાહીમાં આયુર્વેદના માન્યતાપ્રાપ્ત તબીબો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં ના આવે. જેથી ગુજરાત પોલીસે આ રજુઆતને ધ્યાને લઈ તમામ પોલીસ સ્ટેશનોને જાણ કરી છે કે, ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સીસ્ટમ્સ ઓફ મેડીસીનના ગુજરાત રાજ્યની કચેરીએ નોંધાયેલ તબીબો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં ના આવે. જેથી આયુર્વેદના તબીબોએ રાહતના શ્વાસ લીધા હતા. આ સાથે આ પત્રમાં એમ પણ જણાવાયુ હતુ કે, એલોપેથીના ડોક્ટરો વિરૂધ્ધ ખોટા કેસ કરવામાં ના આવે.
ગુજરાત ડીજીપી કચેરીનો આ પત્ર અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. જેમાં તેઓએ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને સુચના આપી છે કે, એલોપેથીના ડોક્ટરો વિરૂધ્ધ ખોટા કેસ દાખલ કરવામાં ના આવે. જે દર્શાવે છે કે, ગુજરાત પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક તો ખોટા કેસ દાખલ થયા હશે. તો જ આવી સુચના આપવાની ફરજ પડી હશે. આ ઉપરાંત ગુજરાત પોલીસનો આ પત્ર કોવિડ-19 સંદર્ભીત છે. જે પત્રથી ગુજરાત પોલીસ શુ કોવિડ દર્દીઓની સારવાર માટે આયુર્વેદીક ડોક્ટરોને મંજુરી આપી રહ્યુ છે? જેમની પાસે હજુ સુધી કોઈ એવીડેન્સ બેઝ્ડ રીસર્ચવાળી દવાઓ કે ટ્રીટમેન્ટ નથી.