પડતર પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો આગામી સમયમાં પણ કાર્યક્રમો આપવાની ચીમકી આપવામાં આવી
પાલનપુર સહિત બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ દ્વારા તેમના પડતર પ્રશ્નોનો નિવેડો ન આવતા આજે ફરજ પર કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. આગામી સમયમાં પણ જો સરકાર તેમના પ્રશ્નોનો નિવેડો નહીં લાવે તો અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચીમકી આપી છે.
આ પણ વાંચો – પડતર માંગણીને લઈ હડતાલ પર ઉતરેલા 701 આરોગ્ય કર્મચારીઓ પર FIRની તજવીજ : બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ ની આગેવાની હેઠળ થોડાંક દિવસ અગાઉ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નો મુદ્દે રજુઆત કરવામાં આવી હતી. આ અગાઉ પણ સરકારમાં અનેકવાર રજૂઆત કરવા છતાં તેમના પડતર પ્રશ્નોનો કોઈ નિવેડો ન આવતાં હવે તલાટી મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે ૨૦ સપ્ટેમ્બરના રોજ તલાટી કમ મંત્રીઓએ પોતાની ઓફિસ પર કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં તમામ તલાટી કમ મંત્રીઓએ કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. જોકે હજુસુધી પણ આગામી સમયમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો બેનરો સાથે માસ.સી.એલ પર ઉતરી દેખાવો કરવા અને ઓનલાઈન તેમજ મહેસુલી કામગીરીનો બહિષ્કાર કરવો અને જરૂર પડે તો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવા અંગેની પણ ચીમકી આપવામાં આવી છે.