બિયારણ, જંતુનાશક દવાઓ તથા રાસાયણિક ખાતરો ખરીદતી વખતે ખેડુતોએ આટલી બાબતોની ખાસ કાળજી રાખવી. જંતુનાશક દવાઓ, બિયારણ તથા રાસાયણિક ખાતરની ખરીદી હંમેશા તેના અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળી અથવા તો પ્રતિષ્ઠિત વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાની બોટલ ટીન તથા બિયારણની થેલી સીલબંધ કે કેમ ? તેની ખાતરી કરવી તથા કોઇ પણ સંજોગોમાં મુદત પુરી થઇ ગયેલ જંતુનાશક દવાઓ અથવા તો બિયારણની ખરીદી કરવી નહીં. ત્રણેય ઇનપુટના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર અને પુરેપુરા નામ, સરનામાં તથા તેની સહીવાળી બીલમાં ઉત્પાદકનું નામ, લોટ નંબર, બેચ નંબર તથા જંતુનાશક દવા અને બિયારણના કિસ્સામાં તેની ઉત્પાદન અને મુદત પુરી થયા તારીખ વગેરે તમામ વિગતો દર્શાવતું પાકું બીલ મેળવી લેવું અને બીલમાં દર્શાવેલ વિગતોની ખરાઇ થેલી/ટીન/લેબલ સાથે અવશ્ય કરી લેવી.
ખાતરની થેલી/બારદાન ઉપર યથાપ્રસંગ ફર્ટીલાઇઝર, બાયોફર્ટીલાઇઝર, ઓર્ગેનીક ફર્ટીલાઇઝર અથવા તો નોન-એડીબલ ડી-ઓઇલ્ડ કેક ફર્ટીલાઇઝર એવો શબ્દ લખેલ ન હોય તો તેવી થેલીમાં ભરેલ પદાર્થો ખરેખર ખાતરને બદલે કોઇ ભળતો પદાર્થ હોઇ શકે અને આવા પદાર્થોની ખાતર તરીકે ખરીદી ન કરવી. વૃધ્ધિ કારકો (ગ્રોથ હોરમોન) સહિત જંતુનાશક દવાના લેબલ ઉપર સેન્ટ્રલ ઇન્સેકટીસાઇડ બોર્ડ દ્વારા આપવામાં આવેલ તેનો સી.આઇ.બી. રજીસ્ટ્રેશન નંબર તથા ઉત્પાદન લાયસન્સ નંબર લખેલ ન હોય તેમજ તેના લેબલ ઉપર 45 અંશના ખુણે હીરાના આકારમાં મુકેલ ચોરસમાં બે ત્રિકોણ પૈકી નીચેના ત્રિકોણમાં ચળકતો લાલ, પીળો, વાદળી કે લીલો રંગ જયારે ઉપરના ત્રિકોણમાં તેના ઝેરીપણા અંગેની નિશાની કે ચેતવણી લખેલ ન હોય તે વૃધ્ધિકારકો/જંતુનાશક દવાની બોટલ/પાઉચ/પેકેટ થેલીમાં રહેલ વૃધ્ધિકારકો/જંતુનાશક દવાની ગુણવત્તાની કોઇ ખાતરી ન હોવાથી આવા વૃધ્ધિકારકો/જંતુનાશકોની ખરીદી કોઇ પણ સંજોગોમાં ન કરવી.
આ ઉપરાંત ખાતર, બિયારણ અને જંતુનાશક દવાની ગુણવતા કે વેચાણ અંગે કોઇ શંકા કે સંશય હોય તો તરત જ નજીકમાં તાલુકા કક્ષાએ ખેતીવાડી અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ મદદનીશ ખેતી નિયામક સંપર્ક કરવો.