ગરવી તાકાત,ધાનેરા
અરજદારો પાસે કામ કઢાવી આપવાના નાણાં પડાવતા હોવાની રાવ
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આવેલી મામલતદાર કચેરીમાં રેશનકાર્ડની કામગીરીમાં એજન્ટ રાજ ચાલતું હોવાનું ચર્ચામાં આવ્યું છે. અરજદારો પાસેથી કામ કઢાવી આપવાના કેટલાક એજન્ટો નાણાં પડાવતા હોવાનુ અને સમગ્ર મામલે મિલીભગત હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાબતે તપાસ હાથ ધરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો – બનાસડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઈ દ્વારા કરાયેલી પિટિશન હાઈકોર્ટે નકારી
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં મામલતદાર ઓફિસમાં રેશનકાર્ડની કામગીરી માટે તાલુકાના અનેક ગામોમાંથી અરજદારો આવતા હોય છે. તેમાં રેશનકાર્ડમાં નામ ફેરફાર કરાવવા તેમજ નવું રેશનકાર્ડ મેળવવા સહિતની કામગીરી માટે મામલતદાર કચેરીમાં અરજદારો આવતા હોય છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા કેટલાક અરજદારોને રેશનકાર્ડની કામગીરીની પ્રોસેસની પૂરતી માહિતી ન હોવાને કારણે મામલતદાર કચેરીમાં એજન્ટ રાજ ચલાવવામાં આવી રહ્યુ હોવાનું ચર્ચામાં આવ્યું છે. જેમાં સમગ્ર મિલિભગતથી એજન્ટો દ્વારા આવા અરજદારોના કામ કઢાવી આપવા માટે નાણાં પડાવવામાં આવતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો ધાનેરાની મામલતદાર કચેરીમાં એજન્ટોનુ રાજ અટકાવી શકાય તેમ છે.