— બનાસકાંઠા તલાટી મંડળે પંચાયતની ચાવીઓ અને સહી સિક્કા તાલુકા મથકે જમા કરાવી આંદોલન શરૂ કર્યુ :
ગરવી તાકાત પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં આજથી તલાટીઓનું આંદોલન ઉગ્ર બન્યું છે આજે જિલ્લાના તમામ તલાટીઓએ તાલુકા મથકે ગ્રામ પંચાયતની ચાવીઓ અને સહી સિક્કા જમા કરાવી દીધા છે.
ગુજરાતના ૧૮૦૦૦ ગામોના ૮૫૦૦ જેટલા તલાટી કમમંત્રી અચોકકસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા ઘણા સમયથી પોતાની વિવિધ માગણીઓ મુદ્દે તલાટીઓ હડતાલ પર છે. જોકે સરકારે તેમની વિવિધ માગણીઓ નહીં સ્વીકારતા તલાટીઓ ગ્રામ પંચાયતોની ચાવીઓ અને સિક્કા તાલુકા મથકે જમા કરાવી દીધા છે. પાલનપુર તાલુકા પંચાયત હોલમાં તાલુકાના તલાટીઓની આજ રોજ મિટિંગ મળી હતી. જેમાં તમામ તલાટીઓ દ્વારા ગ્રામ પંચાયતની ચાવીઓ અને સિક્કા જમા કરવામાં આવ્યા છે જે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવશે અને પોતાની માગણીઓ વહેલી તકે સ્વીકારવા માટે સરકાર સમક્ષ માંગ કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય તલાટી મંડળ સાથે બનાસકાંઠા જિલ્લાના તલાટી મંડળ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, વર્ષ ૨૦૦૪-૦૫માં ભરતી થયેલ તલાટી કમ મંત્રીની નોકરી સળંગ ગણવા, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટે પરીક્ષા પાસ કરવાની શરત રદ્દ કરવામાં આવે, પંચાયત તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટીનો સ્પષ્ટ અને કામગીરી ના સમાનભારણ મુજબ વહેંચણી કરતો જોબ ચાર્ટ નક્કી કરવા સાથે બન્ને કેડર મર્જ કરવાના નિર્ણયનો અમલ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે એક તરફ તલાટીઓ પોતાની વિવિધ માંગો મુદ્દે હડતાળ પર જતા ગ્રામ પંચાયતોમાં અરજદારોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ગ્રામ પંચાયતોના કામો અટવાયા છે. ત્યારે તલાટીઓની માંગ હવે ક્યારે સર સ્વીકારે છે કે અને ક્યારે તેઓ પોતાની ફરજ પર પરત ફરે છે અને અરજદારોને પડતી હાલાકીઓ દૂર થાય છે એ મોટો પ્રશ્ન ઉભો થયો છે જેથી સત્વરે તલાટીની માંગ પૂરી થાય અને ગ્રામીણ પંથકના લોકોના કામકાજ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા – પાલનપુર