મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર અને દૂધસાગર ડેરીના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની કાર્યશાળા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાઇ

August 24, 2022

— પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા અનુરોધ કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત :

રાજ્યપાલશ્રી :- ખેડૂત અને ખેતી આત્મનિર્ભર બનશે તો દેશ આત્મનિર્ભર બનશે: ફેમિલી ડોકટર નહીં, ફેમિલી ફાર્મરના વિચારને સાકાર કરીએ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત દેશનું નેતૃત્વ કરશે :

— ખેડૂત અને ખેતી આત્મનિર્ભર બનશે તો દેશ આત્મનિર્ભર બનશે :- રાજ્યપાલશ્રી 

ગરવી તાકાત મહેસાણા :  ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંમેલનમા ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતો સાથે સીધો સંવાદ કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ખેડૂતો અને ખેતીને સમૃધ્ધ કરવા પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વવાન કર્યું છે અને પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા અનુરોધ કર્યો છે, જેને સાકાર કરવા ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ જનઅભિયાન ઉપાડ્યું છે.

રાજ્યપાલશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે ખેડૂત અને ખેતી આત્મનિર્ભર બનશે તો દેશ આત્મનિર્ભર બનશે. આજે ફેમીલી ડોક્ટર નહિ, ફેમીલી ફાર્મરના વિચારને સાકાર કરવાની જરૂર છે. પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત દેશનું નેતૃત્વ કરશે તેમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરણા પૂરી પાડી હતી.

— રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ પશુધન વિના શક્ય નથી. પ્રાકૃતિક કૃષિ માટે દેશી નસલની ગાયનું સૌથી વધુ મહત્વ છે. તેમણે જણાવ્યું હતું કે દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ જીવાણું હોય છે જે જમીનની ફળદ્રુપતા વધારવામાં સહાયભૂત થાય છે :

પ્રાકૃતિક કૃષિના મૂળભૂત સિધ્ધાંતોને સમજાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં ગાયના છાણ, ગૌ-મુત્રથી બનતા બીજામૃતથી બીજે ને સંસ્કારિત કરવામાં આવે છે. જેથી સ્વસ્થ બીજ દ્વારા ઝડપી અંકુરણ થાય છે. ગાયના છાણ-ગૌ મૂત્ર, દાળનું બેસન, ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત-ઘનજીવામૃત સૂક્ષ્મજીવોની વૃદ્ધિ માટે કલ્ચર સ્વરૂપે કાર્ય કરે છે. આ પદ્ધતિમાં કૃષિ અવશેષોથી જમીનને ઢાંકવામાં આવે છે જેને મલ્ચીંગ કહેવાય છે. મલ્ચીંગને કારણે જમીનનું ઊંચા તાપમાન સામે રક્ષણ થાય છે, જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે છે, જેથી પાણીની જરૂરિયાત ઓછી થાય છે. મલ્ચીંગથી નિંદામણથી સમસ્યાનો હલ થાય છે. જમીનને ઢાંકવાથી અળસિયાં જેવા મિત્ર જીવોને દિવસ દરમિયાન કાર્ય કરવાનું વાતાવરણ મળે છે.

રાજ્યપાલશ્રીએ અળસિયાં જેવા જીવોને ખેડૂતોના મિત્રજીવ ગણાવી ઉમેર્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત-ઘનજીવામૃતના ઉપયોગથી આ મિત્ર જીવો અને સહાયક સૂક્ષ્મજીવોની વૃધ્ધિ થાય છે. તેમણે જણાવ્યું હતું કે અળસિયાં જમીનમાં અસંખ્યા છીદ્રો બનાવી જમીનને નરમ બનાવે છે. માટીમાં રહેલાં જટીલ ખનીજ તત્વોનું શોષી શકાય તેવા સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે. જેનું છોડના મૂળ દ્વારા શોષણ થાય છે અને છોડને પોષણ મળે છે. અળસિયાંએ બનાવેલાં અસંખ્ય છીદ્રો દ્વારા વરસાદનું પાણી જમીનનાં ઉતરે છે અને કુદરતી રીતે જળસંચય થાય છે

— રાજ્યપાલશ્રીએ આ તકે માટીના કણોમાં ભેજ અને હવાના નિશ્ચિત પ્રમાણ એટલે કે વાપ્સાના નિર્માણ અને મિશ્ર પાકના મહત્વને પણ ઉદાહરણ સાથે સમજાવ્યું હતું :

— રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે જંગલમાં વૃક્ષ-વનસ્પતિઓનો રાસાયણિક ખાતર કે જંતુનાશક વિના પ્રાકૃતિક રીતે વૃધ્ધિ વિકાસ થાય છે એજ પ્રાકૃતિક પધ્ધતિથી ખેતરમાં ઉત્પાદન મેળવવું એ પ્રાકૃતિક કૃષિ છે :

રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવાના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિને ગણાવી હતી જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિથી એક દેશી ગાયની મદદથી 30 એકર જમીનમાં ખેતી થઇ શક છે. પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે, કૃષિ ઉત્પાદન ઘટતું નથી. દેશી ગાયનું જનત અને સંવર્ધન થાય છે. પાણીની બચત થાય છે. કૃષિ ખર્ચ નહિવત્ આવવાથી અને સ્વાસ્થ્યપ્રદ કૃષિ ઉત્પાદનોના ભાવ પ્રમાણમાં વધુ મળવાથી સરવાળે ખેડુતોને ફાયદો થાય છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આઝાદી સમયે ખાદ્યાન્નની જરૂરિયાતને પહોંચી વળવા હરિત ક્રાંતિના માધ્યમથી રાસાયણિક કૃષિ અપનાવી તે સમયની જરૂરિયાત હતી. આજે રાસાયણિક કૃષિના દુષ્પરિણામ સામે આવી રહ્યા છે. રાસાયણિક કૃષિને કારણે જળ-જમીન અને પર્યાવરણ દુષિત થયા છે. ગ્લોબલ વાર્મિગની વૈશ્વિક સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો ફાળો 24 ટકા જેટલો છે. રાસાયણિક ખાતર અને જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગને કારણે જમીનનો આર્ગેનિક કાર્બન સતત ઘટતો રહ્યો છે. જમીનની ફળદ્રુપતા સતત ઘટવાને કારણે જમીન બંજર બની રહી છે. એક અહેવાલ અનુંસાર વિશ્વની 30 થી 35 ટકા જમીન બંજર બની ગઇ છે. રાસાયણિક ખાતર અને જંતુનાશકોથી દુષિત ખાદ્યાન્ન આરોગવાથી લોકો કેન્સર, ડાયાબીટીસ, હ્રદયરોગ જેવા અસાધ્ય રોગનો ભોગ બની રહ્યા છે. રાસાયણિક કૃષિમાં દિનપ્રતિદિન ખર્ચ વધી રહ્યો છે જ્યારે ઉત્પાદન સતત ઘટી રહ્યું છે જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે

રાજ્યપાલશ્રીએ ઓર્ગેનિક કૃષિ અર્થાત જૈવિક ખેતીને પ્રાકૃતિક કૃષિથી સાવ અલગ ગણાવી જણાવ્યું હતું કે ઓર્ગેનિક કૃષિમાં કૃષિ ખર્ચ ઘટતો નથી. નિંદામણની સમસ્યાનો હલ થતો નથી. વર્મી કમ્પોસ્ટના નિર્માણનો ખર્ચ વધુ થાય છે. વિદેશી અળસિયાં ભારતીય વાતાવરણમાં પુરી ક્ષમતાથી કાર્ય કરી શકતા નથી. ઓર્ગેનિક કૃષિમાં શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે, જેના કારણે ખેડૂતો માટે ઓર્ગેનિક કૃષિ વિશેષ લાભદાયી નથી. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ-ગૌ મુત્રની મદદથી બનતા જીવામૃત ઘન જીવામૃતથી જમીનમાં સૂક્ષ્મજીવોની અને અળસિયાં જેવા મિત્ર જીવોની વૃધ્ધિ થાય છે અને જમીન ફળદ્રુપ બને છે. ઉત્પાદન વધે છે. કૃષિ ખર્ચ ઘટે છે. કૃષિ ખર્ચ નહિવત અને ઉત્પાદન પૂરતુ મળવાને કારણે આ પધ્ધતિ ખેડૂતો માટે લાભદાયી છે. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ પધ્ધતિને ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવી હતી.

આ પ્રસંગે દૂધસાગર ડેરીના ચેરમેનશ્રી અશોકભાઇ ચૌધરીએ જણાવ્યું હતુ કે ધરતી માતાને સુપોષિત કરવાનું અભિયાન એટલે પ્રાકૃતિક ખતી. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી દૂધસાગર ડેરીએ ખેડૂતોની પ્રાકૃતિક ખેતીની ઉપજના પૂરતા ભાવ મળે તે માટે પ્રયાસ કર્યા છે. આ ઉપરાંત દૂધસાગર ડેરી ખાતે રૂપિયા 25 કરોડના ખર્ચે સરકારશ્રીના સહયોગથી પ્રાકૃતિક ખેતપેદાશો માટે લેબોટરીની શરૂઆત થનાર છે તેમ જણાવ્યું હતું.

— મહેસાણા ખાતેના કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના પ્રદર્શન સ્ટોલની રાજ્યપાલશ્રીએ મુલાકાત કરી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત દૂધસાગર ડેરી સંચાલિત સાગરડેરી ફ્રેશ સ્ટોરની મુલાકાત કરી હતી :

આ પ્રસંગે રાજ્યપાલશ્રીના હસ્તે જિલ્લાના 75 ખેડૂતોની સાફલ્યગાથાની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. દુધસાગર ડેરી દ્વારા આખા ચણા અને બાજરાના ઉત્પાદનનું લોન્ચીંગ રાજ્યપાલશ્રીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે સંસદ સભ્ય શ્રીમતી શારદાબહેન પટેલ, રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર, જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,આત્મા ગુજરાતના નોડલ અધિકારી પી.એસ,રબારી,જિલ્લા ખેતીવાડી અધિકારી બી.જે.જોષી સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0