ગુજરાતમાં કોરોના પોતાનો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે સરકાર સંપૂર્ણ લૉકડાઉન કરે તેવી માગ ભાજપના જ ધારાસભ્ય જેઠા ભરવાડે કરી છે. ધારાસભ્ય જેઠા ભરવાડે તેમનુ નિવેદન કાંકણપુર સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે આવ્યા ત્યારે આપ્યું હતું. શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડનું કહેવું છે કે ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ ખુબ ખરાબ થઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું જ છે પણ રાજ્ય સરકારે કડકપણે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી અમલ કરાવવાની જરૂર છે. જેઠા ભરવાડે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધુ હોવાને લીધે સ્થિતિ સારી ન હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 11084 કેસ નોંધાયા હતા. જેની સામે 14770 લોકો કોરોનામાથી સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા હતા. તથા કોરોના સંક્રમણના કારણે 121 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8394 પર પહોચ્યો છે.