મહેસાણા નગરપાલિકાના વિવિધ વિભાગોમાં કાર્યરત 180 કર્મયોગીઓને કાયમી નિમણુંક પત્રો એનાયતનો કાર્યક્રમ યોજાયો હતો. આ કર્મચારીઓને કાયમી નિમણુક પત્રો નીતીન પટેલના હસ્તકે સોપાયા હતા. નીતીન પટેલે જણાવ્યું હતું કે કોરોના કપરાકાળમાં સફાઇ કર્મયોગીઓ દ્વારા નિષ્ઠાપુર્વક કામ કરાયું છે. દેશમાં સફાઇ કર્મીઓ અને આરોગ્ય સાથે સંકળાયેલા કર્મીઓ ખરા અર્થમાં કોરોના વોરીયર્સ છે.
નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે પાલિકાઓમાં સૌથી મહત્વનું કાર્ય સફાઇ કર્મીઓનું છે. કોરોના ના કપરા સમયમાં સફાઇ કર્મીઓ દ્વારા સામાજિક જવાબદારી ઉપાડીને સ્વચ્છતાનું મહત્વનું કામ કર્યુ છે. તેમણે ઉમેર્યું હતું કે સ્વચ્છતાના આ સૈનિકોએ ફરજનિષ્ઠા પુર્વક ગૌરવપુર્ણ કામ કર્યું છે.
મહેસાણા નગરપાલિકા પ્રમુખ નવીનભાઇ પરમારે જણાવ્યું હતું કે મહેસાણા નગરપાલિકામાં પાંચ વર્ષ પહેલાં ભરતી કરેલ વિવિધ 254 કર્મયોગીઓમાંથી 180 કર્મચારીઓને આજે કાયમી નિમણુંક આદેશ આપવામાં આવશે બાકીના કર્મયોગીઓને સમયાંતરે કાયમી નિમણુંકના આદેશ આપવામાં આવનાર છે.