માનવ મહેરામણ ઉમટયો: 165 ઝાંખીએ આકર્ષણ સર્જયુ: ભાવિકોને ગરમીથી બચાવવા ફુવારા મુકાયા
ઊંઝા ઉમિયા માતાજીની નીકળેલી શોભાયાત્રામાં ભક્તોનો ઘોડાપુર ઉમટ્યું
ગરવી તાકાત, ઊંઝા તા. 24 – ઉંઝામા કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજીની 4 કી.મી.લાંબી ભવ્ય નગરયાત્રા નીકળી હતી. જેમાં લાખોની જનમેદની ઉમટી હતી. આજે ઉંઝાવાસીઓએ ધંધા-રોજગાર બંધ રાખી માની પરિક્રમામાં જોડાઈ ધન્યતા અનુભવી હતી. ર્માં ઉમિયાની ભવ્ય નગરયાત્રામાં ભકતજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તા.24 મે ગુરૂવારે પુનમની સવારે 8-10 કલાકે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રાજુભાઈ રાવલે નીજ મંદિરેથી ઉમીયા માતાજીની નગરયાત્રાને લીલીઝંડી આપી હતી.
ઉમીયા માતાજીની શાહી સવારી શહેરના રાજમાર્ગ પર નીકળી ત્યારે ભકતજનો દ્વારા માર્ગમાં સાડીઓ બિછાવી પૂજા-અર્ચના તેમજ આરતી કરી માતાજીનાં વધામણા કર્યા હતા. ચાર કિલોમીટર લાંબી શહેરની પરિક્રમા કર્યા બાદ આ યાત્રા આ યાત્રા બપોરે 1-30 કલાકે નીજ મંદિર પરત ફરી હતી. આ નગરયાત્રામાં જુદી જુદી 165 જેટલી ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યુ હતું.
આ ઉપરાંત આરોગ્ય સુખાકારી અને જનહિતાયનાં સૂચક ટેબલો સહીત ઉમીયા શરણમ મમના ટેબલો વિગેરે જનસમુદાય માટે વિશેષ આકર્ષણ જમાવ્યુ હતું. ઉંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત ડીરેકટર ગણ, ઉંઝા પાલીકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ મિલન સહીત નગરસેવકો વિવિધ સેવાભાવી સંસ્થાનાં પ્રતિનિધિઓ હોદેદારો સહીત સમાજનાં અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત નગરયાત્રાનાં રૂટ પર ઠંડી છાશ, ઠંડા પીણા, પ્રવાહી, કેન્ડી, સરબત સહીતની વસ્તુઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું.