— વિસનગરના સવાલા ગામે લગ્ન પ્રસંગમાં 1 હજાર 255 લોકોને ફૂડ પોઈઝનિંગ થતા તંત્ર થયું દોડતું
— દાવત માટે મુંબઈના દિલ્હી દરબાર નામના કેટરર્સને ખાસ બોલાવવામાં આવ્યું હતું
–આરોગ્યમંત્રી સહિત અધિકારીઓ રાત્રે 3.30 વાગે દોડી આવ્યા
–પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ફુડ પોઈઝનિંગ થયાનો બનાવ બન્યો?
ગરવી તાકાત મહેસાણા : કોંગ્રેસી નેતા વઝીરખાન પઠાણના પુત્ર શાહરુખ ખાનના લગ્ન પ્રસંગમાં હાજર રહેલું આખેઆખું સવાલા ગામ ફૂડ-પોઇઝનિંગની ઝપટમાં આવી ગયું છે. લગ્ન પ્રસંગમાં નોનવેજ ખાધા બાદ હાજર ગ્રામજનોને ઝાડા-ઊલટી થવા લાગી હતી. એકસાથે 1200થી વધુ લોકોને અસર થતાં છ ગામની હોસ્પિટલો દર્દીઓથી છલકાઈ હતી. વિસનગર, મહેસાણા, ઊંઝા, ખેરાલુ, વડનગર અને ગાંધીનગર સિવિલમાં દર્દીઓને સારવાર આપવામાં આવી છે. બનાવની જાણ થતાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિતનો સ્ટાફ રાત્રે 3.30 વાગ્યે વિસનગર પહોંચી ગયો હતો.

વિસનગરના સવાલા ગામે ગઈરાત્રે એક વાગ્યે કોંગ્રેસના આગેવાન વઝીરખાનના પુત્ર શાહરુખના લગ્ન રિસેપ્શન પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નમાં દિલ્હી દરબાર નામના કેટરર્સ દ્વારા જમવાનું બનાવવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારની વાનગી બનાવવામાં આવી હતી. ભોજન લેતાં જ 1200થી વધુ લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી.
— દર્દીઓને વડનગર, મહેસાણા, વિસનગર ખસેડાયા:
લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્ય બાદ મોટી સંખ્યામાં લોકોને ફૂડ-પોઇઝનિંગ થઈ જતાં તાત્કાલિક જે વાહન મળ્યાં એમાં બેસી વિસનગર, વડનગર, મહેસાણા સહિતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત્રે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, મહેસાણા એસપી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

સવાલામાં યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન જમવાથી મોટી સંખ્યામાં ફૂડ-પોઇઝનિંગ થતાં લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. હાલ કુલ 1225 જેટલા દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે, જેમાં આખી રાત ડોકટરની ટીમ અને મેડિકલ સ્ટાફ વિવિધ હોસ્પિટલમાં હજાર રહી તેમને સારવાર આપી હતી. 95% દર્દીઓની સારવારમાં સુધારો આવ્યો હોવાથી તેમને ડિસ્ચાર્જ કરાયા છે, જ્યારે હજી પણ ઘણા દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

— હોસ્પિટલમાં કેટલા દર્દીને સારવાર અપાઈ:
આરોગ્યતંત્રથી મળતી વિગતો અનુસાર, વિસનગરની નૂતન હોસ્પિટલમાં 410, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 300, મહેસાણાની જી.એચ. હોસ્પિટલમાં 206, વિસનગર સી.એચ.સી. માં 44, ઊંઝા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટસમાં 5, વડનગર સરકારી હોસ્પિટલમાં 135, સી.એચ.સી. ખેરાલુમાં 7 અને મહેસાણાની હોસ્પિટલમાં 50, અમદાવાદ સિવિલમાં 12, ગાંધીનગર સિવિલમાં 32 મળી કુલ 1057 જેટલા દર્દીઓને સધન સારવાર આપવામાં આવી હતી.
— જિલ્લા આરોગ્યતંત્રને સજ્જ રહેવાની તાકીદ:
આ તમામ દર્દીઓની હાલત હાલ સ્થિર છે, જેમાંથી મોટા ભાગના દર્દીઓ સારવાર મેળવીને સ્વગૃહે પરત થયા છે. દર્દીઓને સઘન સારવાર મળી રહેતાં કોઇપણ પ્રકારનો ગંભીર બનાવ કે મૃત્યુ નોંધાયું નથી. આગામી સમયમાં ફૂડ-પોઇઝનિંગના વધુ કેસ નોંધાય ત્યારે તમામ દર્દીઓને ત્વરિત સારવાર ઉપલબ્ધ કરાવવા વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લા આરોગ્યતંત્રને સજ્જ રહેવાની તાકીદ હાથ ધરી છે.