ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના વડનગરમાં 2 વર્ષ પછી ગોપાલજી મંદિરેથી 109મી રથયાત્રા નીકળશે. શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા નીકળે તે માટે રથયાત્રા સમિતિ અને મુસ્લિમ બિરાદરો તેમજ શહેરના અગ્રણીઓ સાથે પોલીસની બેઠક યોજાઈ. શુક્રવારે બપોર પછી ગોપાલજી મંદિરેથી શ્રી વૈકટેશાચાર્યજી મહારાજના વરદ હસ્તે પ્રસ્થાન કરાશે. રથયાત્રાને લઈ આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી છે. વાજતે ગાજતે નીકળનારી આ રથયાત્રા દરમિયાન જાંબુ અને મગનો પ્રસાદ આપવામાં આવશે. સેંભરવાડામાં મુસ્લિમ બિરાદરો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાશે.
રથયાત્રા સમિતિના રાજુભાઈ મોદીએ જણાવ્યું હતુ કે સવારે 5.30 કલાકે મંગળાઆરતી, 7.30 કલાકે શણગાર આરતી, 10.30 રાજભોગ તેમજ 2.00 વાગે ઉત્થાપન આરતી કરવામાં આવશે.ત્યાર બાદ 2.30 વાગ્યે ગોપાલજી મંદિરેથી શ્રી વૈકટેશાચાર્યજી મહારાજના વરદ હસ્તે પ્રસ્થાન કરાશે.આ રથાયાત્રા નદીઓળ દરવાજા,અર્જુનબારી દરવાજા, આશાપુરી મંદિર,ટાવર બજાર, મોચીઓળ, વૈરાઈ માતાજી મંદિરેથી અમતોલ દરવાજાથી સેંભરવાડા પહોંચશે.
ત્યાંથી નીકળી રથયાત્રા પીઠોરી દરવાજા થઈ કાળા વાસુદેવના ચાચરેથી અટાળાથી અમતોલ દરવાજા, કાપડ બજાર સહિત વિસ્તારોમાં ફરી સાંજે 7.30 વાગે નીજ મંદિરે પરત ફરશે.200 પોલીસ કર્મીઓ સહિત હોમગાર્ડના જવાનો તૈનાત રહશે.